બનાસકાંઠાઃ જિલ્લાની બનાસ મેડીકલ કોલેજ સંચાલિત પાલનપુર સિવિલ હોસ્પિટલના ડોકટર, નર્સ અને મેડીકલ તથા પેરામેડીકલ સ્ટાફની રાત-દિવસની અથાગ મહેનતે રંગ લાવ્યો છે. બનાસકાંઠા જિલ્લાનો કોરોના પોઝિટિવ દર્દીઓનો રિકવરી રેટ ૭૮.૮૨ ટકા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાને પરાસ્ત કરનાર વધુ 13 વ્યક્તિઓને આજે સોમવારના રોજ પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અત્યાર સુધી કોરોના પોઝિટિવ કુલ 67 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પીટલમાંથી ઘરે જવાની રજા અપાઇ છે.
જિલ્લામાં કુલ 85 લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી કુલ 67 દર્દીઓ સાજા થતાં તેમને ઘરે જવાની રજા આપી દેવામાં આવી છે. હાલ માત્ર 14 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. બનાસ મેડીકલ કોલેજ સંચાલિત પાલનપુર સિવિલ હોસ્પીટલમાં 6 અને ડીસા ગાંધીલિંકન ભણશાળી કોવિડ હોસ્પીટલમાં 7 તથા 1 ધારપુર મેડીકલ કોલેજ ખાતે એમ કુલ 14 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 1 દર્દીની સ્થિતિ ક્રિટીકલ છે જયારે 13 દર્દીઓની સ્થિતિ સારી છે તેમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.
ઉલ્લેનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 1457 અને 5 રાજસ્થાનના એમ કુલ 1462 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાંથી 1176 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. જયારે 85 સેમ્પલના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી સાજા થયેલા 67 વ્યક્તિઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 4 દર્દીઓના મોત થયા છે અને 199 સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે.