બનાસકાંઠાઃ વર્ષોથી રેશનકાર્ડથી વંચિત એવા વિચરતી જાતિના 113 પરિવારોને રેશનકાર્ડ મેળવવામાં આખરે સફળતા મળી છે. નાયબ મામલતદાર ઈશ્વરસિંહ બારડ અને પ્રવીણદાન ગઢવીએ વિચરતા સમુદાયના 113 પરિવારોને અંત્યોદય રેશનકાર્ડનું વિતરણ કર્યું હતું. ગામડામાં રહેતા નિરક્ષર લોકોને રેશનકાર્ડ કઢાવવા મામલતદાર કચેરી સુધી જવું ન પડે અને ઘરે બેઠા જ રેશનકાર્ડ મળી જાય તે માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વ્યવસ્થા અંતર્ગત વિચરતા સમુદાયના 113 પરિવારને અંત્યોદય રેશનકાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલે પણ આ કામગીરીમાં સાથ આપ્યો હતો. વિચરતા સમુદાય સમર્થન મંચના સંયોજક મિત્તલ પટેલ સહિત આ વિસ્તારના લોકો તેમના આ કામની સરાહના કરી રહ્યા છે. વાવના મામલતદાર કે. કે. ઠાકોર, નાયબ મામલતદાર ઈશ્વરસિંહ બારડ અને સુઈગામના નાયબ મામલતદાર પ્રવીણદાન ગઢવીએ નારણ રાવળને કહ્યું કે, અમારે વિચરતી જાતિના પરિવારોને મળવું છે અને અમે રૂબરૂ અમારા હાથે તેમને રેશનકાર્ડ આપવા માગીએ છીએ. સૂઈગામ, બેણપ, ઉચોસણ, ગરાંબડી, લીંબોળી, વાવ, બુકણા, માડકા, ઢીમા, આછુઆ, તીર્થગામ વગેરે ગામોમાં રહેલા 113 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને રેશનકાર્ડ પહોંચાડવામાં આવ્યા હતા.
આ અંગે વિચરતા સમુદાય સમર્થન મંચના મિત્તલ પટેલે કહ્યું કે, અંત્યોદય રેશનકાર્ડ પૂરું પાડવાનું કામ અધિકારીઓનું છે. બનાસકાંઠા જિલ્લામાં અમારા કાર્યકર્તા નારણ રાવળ અને ભગવાન વાવે એવા પરિવારોને શોધી કાઢ્યા હતા, જેમની પાસે રેશનકાર્ડ ન હતું અને તેઓ વર્ષોથી રેશનકાર્ડ મેળવવા મહેનત કરી રહ્યા હતા. આવા પરિવારોને શોધી તેમના કાગળો કચેરી સુધી પહોંચાડવા માટે તેમણે ઘણી મહેનત કરી હતી. તેમની મહેનતના કારણે આ પરિવારોને રેશનકાર્ડ મેળવવામાં સફળતા મળી હતી. આવા પરિવારોને રેશનકાર્ડ પહોંચાડવા માટે અમે કલેક્ટરનો આભાર વ્યક્ત કરીએ છીએ.