- પાલનપુરમાં 30 વર્ષોથી દરરોજ રાત્રે ગરીબોને પીરસાય છે ભોજન
- ઓરિસ્સાથી આવેલા સંતે મીઠીવાવ વિસ્તારમાં કરી હતી ગરીબ લોકોની સેવા
- ઓરિસ્સાથી આવ્યા હોવાથી ઉડીયા મહારાજ તરીકે જાણીતા બન્યા
બનાસકાંઠાઃ ઓરિસ્સાથી ત્રીસ વર્ષ અગાઉ પાલનપુર આવેલા એક તપસ્વી પાલનપુરની મીઠી વાવડી વિસ્તારમાં સ્થાયી થયા હતા અને તેઓ તપની સાથે સાથે ગરીબો અને દુખિયારાઓની મદદ કરતા હતા. આ તપસ્વીની સેવા ટૂંક સમયમાં જ લોકોના દિલને સ્પર્શી ગઈ અને લોકો આ તપસ્વીને ઉડીયા બાબાના નામથી ઓળખવા લાગ્યા હતા.
કોઈ ભૂખ્યું ના સુઈ જાય તેની ખાસ દરકાર રાખવા સંતે શિષ્યોને કહ્યુ હતું
ઉડીયા બાબા દેવલોક સિધાવ્યા તે પૂર્વે તેમણે તેમના શિષ્યોને કોઈ રાત્રે ભૂખ્યા ન સૂવે તે હેતુસર ભોજન સેવા ચાલુ રાખવાનું કહ્યું હતું. જેને લઈ છેલ્લા 30 વર્ષથી પાલનપુરની મીઠીવાવ વિસ્તારમાં દરરોજ 200 વ્યક્તિઓ માટે ખીચડી કઢી તૈયાર કરાય છે. જેને લોડિંગ રિક્ષામાં ભરી રાત્રીના 8 વાગ્યે શહેરના કીર્તિસ્તંભ ખાતે 200 જેટલા નિરાધાર લોકોને વિનામૂલ્યે ખીચડી કઢી પીરસાય છે. જેનો સ્વાદ એટલો ટેસ્ટી હોય છે કે તેને ખાવા લોકોની લાઈનો લાગે છે.
માત્ર અને માત્ર ગુપ્ત દાન થકી ચાલે છે આ ઉમદા સેવાકાર્ય
મહત્ત્વની વાત છે કે, 30 વર્ષથી ચાલતી આ સેવા માટે હજી સુધી કોઈ ટ્રસ્ટ કે કંઈ જ બન્યું નથી. માત્ર અને માત્ર ગુપ્ત દાન થકી આ સેવાકાર્ય ચલાવવામાં આવતું હોવાનું રામરોટી કેન્દ્રના સંચાલક સંજયભાઈ એ જણાવ્યું હતું.