આણંદઃ ચરોતર પ્રદેશ સુવર્ણ પ્રદેશ તરીખે ઓળખાય છે, ત્યારે અહીંના ખેડૂતો ખેતી માટે યાંત્રિક અને સાથે જ રૂઢિગત ખેતી પ્રણાલીમાં વિશ્વાસ કરે છે. કોરોના વર્તમાન કહેર વચ્ચે ખેડૂતોને ખેતીમાં અતિઆવશ્યક તેવા ખેત મજૂરોની હાજરી પર પણ અસર જોવા મળી રહી છે.
આણંદ અને આસપાસના વિસ્તારોમાં ચોમાસું પાકનું વાવેતર શરૂ કરવામાં આવ્યું, પરંતુ સિઝનની શરૂઆતમાં આવેલા વરસાદે વિરામ લેતાં ધરતી પુત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ખેતીલક્ષી કામો માટે મજૂરોની અછતના કારણે ખેતીના કામો પણ વિલંબથી ચાલી રહ્યાં છે.
હાલ ચરોતર પંથકમાં મોટાભાગના ખેતર ખાલી દેખાઈ રહ્યા છે. જે કોઈ ખેડૂતોએ ડાંગરના પાકની વાવણી કરી છે, તે પણ અપૂરતા પાણીના કારણે નુકસાન સહન કરી રહ્યા છે. આવા સંજોગોમાં ખેડૂતને આર્થિક નુકસાની વેઠવા સાથે ખેતી કામ માટેના મજૂરોનું વેતન પણ વધુ ચૂકવવું પડતું હોય છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
આ અંગે ચરોતરના ખેડૂત કેતન પટેલે ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના રોગચાળાની અસર ખેતી પર પણ જોવા મળી રહી છે. મજૂરોના મનમાં ભયનો માહોલ છે. આ સાથે જ પરપ્રાંતિય મજૂરોની ઘટ સર્જાતાં ખેત મજૂરો હવે ઇન્ડસ્ટ્રી તરફ આકર્ષાયા છે. આ સાથે જ જે મજૂર ખેતી કામ માટે આવતા હોય છે, તેમને ઊંચું વેતન ચુકવવા ખેડૂતને મજબૂર થવું પડે છે. જેથી ખેડૂતો આર્થિક સંકળામણનો ભોગ બની રહ્યા છે.