આણંદ: શહેરમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત શહેર પોલીસે(Anand Police ) વિદેશી દારૂનું વેચાણ(Sale of foreign liquor) કરવા જેવી અસામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી મહિલાને દારૂનો ધંધો છોડાવીને તેણીને DSP ઓફિસની બહાર જ હેવમોર પાર્લર શરૂ કરાવી આપીને સ્વમાનભેર રોજગારી મેળવી શકે તેવી વ્યવસ્થા કરી આપી હતી. આ દરમિયાન આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.
ગૃહવિભાગ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીની યોજના - આજે(બુધવારે) આ પાર્લરનું કલેક્ટર, DDO અને DSPની ઉપસ્થિતિમાં લોકાપર્ણ કરીને મહિલાને સોંપવામાં આવ્યું હતુ. પ્રાથમિક વિગતો અનુસાર પોલીસની કામગીરીને વધુ કાર્યક્ષમ, પરિણામલક્ષી અને લોકાભિમુખ બનાવવા માટે ગૃહવિભાગ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીની યોજના(Safety Setu Society Scheme) અમલી બનાવી છે. જે યોજના હેઠળ આણંદ જિલ્લામાં પોલીસ દ્વારા પ્રજાના કલ્યાણ માટે જિલ્લાની મહિલા બુટલેગરો કે જેઓ દેશી વિદેશી દારૂના ધંધા સાથે સંકળાયેલી છે. તેમનો સંપર્ક કરીને આવી અસામાજીક પ્રવૃત્તિઓને છોડાવીને સ્વમાનભેર રોજગારી મેળવી શકે તેવી તકો ઉભી કરવાની શરૂઆત કરી હતી. જેના ભાગરૂપે આણંદના હેડક્વાર્ટર DYSP ડી. આર. પટેલ અને તેમની ટીમે વિદ્યા ડેરી રોડ ઉપર રહેતી અને વિદેશી દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગર દક્ષાબહેન ચૌહાણનો સંપર્ક કર્યો હતો.
આ પણ વાંચો: મુખ્યપ્રધાને ધડાધડ આપી દીધી આ યોજનાના 45.09 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી, કોને લાભ મળશે જાણો
દક્ષાબહેન વિરૂધ્ધ અત્યાર સુધીમાં પાંચ જેટલા કેસો દાખલ થઈ ચુક્યા છે - બુટલેગર દક્ષાબહેન ચૌહાણને સાથે સંવાદ કરતા તેના બે સંતાનો છે. અને કોરોના કાળમાં તેના પતિને કોરોના થઈ ગયા બાદ અમુક બીમારીઓ લાગુ પડતા તેઓ ઘરે જ રહે છે. જેને લઈને તેણીને વિદેશી દારૂ વેચીને ઘરનું ગુજરાન ચલાવવું પડી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તેના વિરૂધ્ધ અત્યાર સુધીમાં પાંચ જેટલા કેસો દાખલ થઈ ચુક્યા છે. જેથી પોલીસે તેને સ્વમાનભેર રોજગારી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી આપવાની વાત કરતાં તેણી વિદેશી દારૂના ધંધાને તિલાંજલી આપવાની તૈયારી બતાવી હતી.
સ્વમાનભેર રોજગાર કરીને જીવવાની તક - જેથી પોલીસે તેને DSP ઓફિસમાં પ્રવેશવાના ગેટ(Gate to enter the DSP office) પાસે જ સવા લાખના ખર્ચે એક હેવમોર પાર્લર(Havmore Parlor) બનાવી આપ્યું હતુ. હવેથી આ મહિલા અહિંયા આઈસ્ક્રીમ, ઠંડા પીણા સહિતની ચીજવસ્તુઓ વેચીને સ્વમાનભેર રોજગારી મેળવી શકશે. આ પ્રસંગે DSP અજીત રાજીયને જણાવ્યું હતું કે, ભગવાન દરેકને બીજી તક આપે છે, તેમ દક્ષાબહેન ચૌહાણને પણ સ્વમાનભેર રોજગાર કરીને જીવવાની તક આપી છે.
7 લાખ રૂપિયા જેટલું દેવું હતું - જિલ્લાના અન્ય સ્થળોએ પણ આગામી સમયમાં આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ૩૧ વર્ષીય દક્ષાબહેન ચૌહાણે જણાવ્યું હતુ કે, પતિની માંદગી અને સંતાનોના ખર્ચાઓને પહોંચી વળવા માટે તેને જમવાનું બનાવવા પણ જતી હતી પરંતુ સાતેક લાખ રૂપિયા જેટલું દેવું થઈ જતાં તેને વિદેશી દારૂ વેચવા જેવી અસામાજીક પ્રવૃત્તિઓ તરફ વળી હતી. આખરે પોલીસની સમજાવટથી આ ધંધો છોડીને આજથી પાર્લર ચલાવી સ્વમાનભેર જીવીશ.