અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલા મહેસૂલ વિભાગ કર્મચારી મંડળ ખાતે મહેસૂલ વિભાગના કર્મચારીઓ દ્વારા સત્ય નારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ વિભાગના 7000 જેટલા કર્મચારી રાજ્યભરમાં પોતાની પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે. ત્યારે અમદાવાદમાં પણ 350થી વધુ કર્મીઓ હડતાલ પર છે.
હડતાલના 8માં દિવસે કર્મચારીઓ દ્વારા સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારને મહેસૂલ વિભાગના કર્મચારીઓની માંગણીઓ ધ્યાનમાં આવે અને સરકારને સદબુદ્ધિ મળે તે હેતુથી કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી માગ પૂરી નહીં થાય ત્યાં સુધી કર્મચારીઓની હડતાલ ચાલુ જ રહેશે. પરંતુ લોકોને તેનાથી કોઈ મુશ્કેલી નહીં પડે તેવું પણ કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.