નવી દિલ્હીમાં વડાપ્રધાનના પ્રથમ કાર્યકાળ દરમિયાન નિર્માણ પામેલું અને પ્રવર્તમાન ગુજરાત ભવન તો કાર્યરત છે જ પરંતુ વધતી જતી જરૂરિયાતો અને નાગરિકોના ધસારાને પગલે એક વધારાના ભવનની જરૂરિયાત જણાતા રાજ્ય સરકારની માંગ મુજબ ભારત સરકારે ગરવી ગુજરાત ભવન માટે 25B અકબર રોડ પર 7066 ચોરસ મીટર જમીન ફાળવી હતી. આ જમીન ઉપર ગરવી ગુજરાત ભવન બે જ વર્ષના ટૂંકા સમય ગાળામાં નિર્માણ પામ્યું હતું. આ નવું ભવન વડાપ્રધાનની સંકલ્પના મુજબ ગુજરાતની આગવી ઓળખ પ્રસ્થાપિત કરનારૂ બનાવવામાં આવેલું છે.
ગરવી ગુજરાત ભવનની વિશેષતા અંગે વાત કરીએ તો નવી દિલ્હીમાં ગુજરાતીઓને માત્ર આવાસ સુવિધા જ નહિ સાથો સાથ ગુજરાતના પારંપરિક હસ્ત કલા કારીગીરી કસબની વસ્તુઓનું પ્રોત્સાહન કેન્દ્ર તેમજ પ્રવાસન અને ઔદ્યોગિક રોકાણ માટેનું પ્લેટફોર્મ પણ પુરુ પાડશે. દિલ્હી વાસીઓ આ ગરવી ગુજરાત ભવનમાં ગુજરાતી ખાન પાન વ્યંજનનો આસ્વાદ પણ મારી શકેશ તેવું અદ્યતન સુવિધા સભર આ ગરવી ગુજરાત ભવન બનાવવામાં આવ્યું છે.
ગરવી ગુજરાત ભવનમાં 19 સ્યુટ રૂમ, 59 અન્ય રૂમ, બિઝનેસ હોલ, કોન્ફરન્સ હોલ, મલ્ટીપરપઝ હોલ, વિવિધ ચાર અન્ય લોન્જ, લાયબ્રેરી, યોગા સેન્ટર, જીમ્નેશીયમ, રેસ્ટોરન્ટ, ડાઇનીંગ હોલ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
આ અંગે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક પત્રકાર પરિષદમાં જણાંવ્યુ હતું કે, ગરવી ગુજરાત ભવન અનેક પરંપરાગત અને આધુનિક કળાઓ અને તકનીકીઓથી સજ્જ છે. તે ગુજરાતથી દૂર દિલ્હીમાં ગુજરાતીઓ માટે ઘર તરીકે સેવા આપશે. તે ગુજરાતની સંસ્કૃતિ, હસ્તકલા અને રાંધણકળાને આધુનિક તેમજ પરંપરાગત રીતે રજૂ કરશે. આ ઇમારત 131 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. લોકોની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, આજે ગણેશ ચતુર્થીના દિવસે સાંજે 7 કલાકે વડાપ્રધાન મોદીના હસ્તે થનારા ઉદ્દધાટન સમારોહ વેળાએ વિદેશ પ્રધાન એસ. જયશંકર સહિત આમંત્રીત કેન્દ્રીય પ્રધાનો તેમજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ રાજ્યના આમંત્રિત પ્રધાનો હાજર રહેશે.