અમદાવાદ: કોરોના મહામારી આખા વિશ્વ માટે એક પડકાર બની ગઈ છે, ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ પણ સંક્રમણ ન વધે તે માટે સર્વગ્રાહી પગલાંના ભાગરૂપે શહેરની ફરતે ગામડાઓમાં પ્રવેશ થાય છે એવી 8 ચેકપોસ્ટ પર અત્યાર સુધી 20,871 લોકોનું સ્ક્રિનિંગ કરાયું છે.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ એ જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાંથી ગામડાઓમાં થતી અવરજવરને નિયંત્રિત કરવા ગામડાઓમાં પ્રવેશ પર નિયંત્રિત કરાયુ છે, પરંતુ જીવનજરૂરી ચીજવસ્તુઓ તથા અન્ય જરૂરિયાતની વસ્તુઓની હેરફેર કરતા લોકોને પણ ગામડાઓમાં પ્રવેશ સમયે સ્ક્રિનિંગ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.
અમદાવાદ શહેર આસપાસ શીલજ સર્કલ, સનાથલ ચોકડી, હાથીજણ, બાકરોલ, કમોડ, અસલાલી બ્રિજ, વકીલ બ્રિજ બોપલ, તથા કણભા એમ આઠ સ્થળોએ ચેક પોસ્ટ ઊભી કરાઇ છે. અવરજવર કરતા લોકોને સ્ક્રીનિંગ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 20,871 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે અને સામાન્ય તાવના લક્ષણો જણાતા 12 લોકોને નજીકની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ગામડાઓમાં રોગનું સંક્રમણ ન વધે તે માટે ફયુમિગેશન અને સેનિટાઇઝેશન, રોગ પ્રતિકારક શક્તિ વધારતા આયુર્વેદિક ઉકાડા વિતરણ જેવા રક્ષાત્મક પગલા લેવાયા છે. એટલું જ નહીં, પરંતુ આ તમામ ચેકપોસ્ટ ઉપર બે પાળીમાં સતત 24 કલાક ટીમ ખડેપગે રહે છે અને તમામ લોકોનો સ્ક્રિનિંગ કરે છે. તેમણે જણાવ્યું છે.