છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લામાં આવેલો માખણિયો પર્વત હાઈકિંગ અને ટ્રેકિંગનાં શોખીનો માટે જબરદસ્ત આકર્ષણ ધરાવે છે. અન્ય લોકો માટે પણ આ પર્વત હિલ સ્ટેશન બનીને ઉભર્યુ છે.
દર શિવરાત્રીના પર્વે અહીં મેળો ભરાય છે. ફાગણ સુદ અગિયારસના દિવસે આ પર્વત પર મેળો ભરાતો હોવાના કારણે માખણિયા પર્વત પર માનવ મહેરામણ ઉમટી પડે છે. ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો માખણિયા પર્વત પર ઉમટી પડ્યા હતાં અને પ્રાચીન શિવલિંગની પૂજા સાથે પોતાની આસ્થા પ્રગટ કરી હતી.
પ્રાચીન સમયની દંતકથા મુજબ ઝંડ હનુમાનજીનાં મંદિર થી માખણિયા પર્વત સુધીનાં અંદાજે ૩૦ કિલોમીટરનાં જંગલ વિસ્તારને હિડમ્બા વન તરીકે ઓળખવામાં આવે છે, અને માખણિયા પર્વતની ઉપર, ભીમ અને હિડમ્બાનાં લગ્ન યોજાયા હતાં, આ લગ્નમાં પથ્થરનો મંડપ બનવવામાં આવ્યો હોવાની દંતકથા આજે પણ લોકમુખે ચર્ચાઈ રહી છે. જે પથ્થરના મંડપને ભીમની ચોરી તરીકે ઓળખવામાં આવે છે

જમીની લેવલથી અંદાજે બે હજાર ફૂટની ઉંચાઈ અને ૫ કિલોમીટરની લંબાઈ ધરાવતા માખણિયા પર્વતનાં પથ્થરો જ પૂર્ણિમાની રાત્રે માખણ જેમ ચમકતા હોવાના લઈને આ પર્વતને માખણિયા પર્વત તરીકે ઓળખવામાં આવતો હોવાનું માનવામાં આવે છે.