અમદાવાદઃ શહેરની કોવિડ હોસ્પિટલમાં ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલમાંથી મૃતક મહિલાના દાગીના, મોબાઈલ ફોન અને અન્ય ચીજવસ્તુઓ ગુમ થઈ હોવાની વિગતો સામે આવી છે. આ મુદ્દે મૃતક મહિલાના પતિ દ્વારા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
અમદાવાદ કોવિડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 54 વર્ષીય મહિલાનું મૃત્યુ થતા તેમણે પહેરેલા ચેન, નાકની બુટી, મોબાઈલ, ચાર્જર વગેરેની વસ્તુઓ ગુમ થતા મહિલાના પતિ દ્વારા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
અમરાઈવાડી વોડ કાઉન્સિલર જગદીશ રાઠોડે અસારવા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટને આ અંગે પત્ર લખી તાત્કાલિક ધોરણે પગલાં લેવા રજૂઆત કરી હતી.
નોંધનીય છે કે, કોરોના વાઇરસથી પીડાતી આ મહિલાને 2 મેના રોજ કોવિડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને 11 મેના રોજ તેમનું અવસાન થતા પરિવારજનોને મૃતકે પહેરેલા દાગીના, મોબાઈલ અને ચાર્જર ગુમ થયા હોવાની પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.