અમદાવાદઃ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મજયંતિ (125th birth anniversary of Zaverchand Meghani ) નિમિત્તે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની પ્રેરક ઉપસ્થિતમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં કલેક્ટરમાં “મેઘાણી સાહિત્ય કોર્નર” ( Meghani Sahitya Corner )મુકવામાં આવ્યું હતુ. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે અને નિવાસી અધિક કલેકટર પી. બી. પંડ્યા અને અધિક નિવાસી નાયબ કલેકટર યોગીરાજસિંહ ગોહિલે સાહિત્ય કોર્નરનું નિરીક્ષણ કરી ઉપલબ્ધ પુસ્તકો વિશેની રસપ્રદ માહિતી મેળવી હતી.
કલેક્ટર કચેરીમાં આ પ્રકારનું સાહિત્ય કોર્નર મુકવાની પહેલ
રાજ્યની જિલ્લા કલેક્ટર કચેરીમાં આ પ્રકારનું સાહિત્ય કોર્નર મુકવાની પહેલ હાથ ધરાઇ હોય તેવી અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી પ્રથમ છે. ઝવેરચંદ મેઘાણીના જીવન, કાર્ય અને સાહિત્યથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી પિનાકી મેઘાણીની પ્રેરણાથી ગુજરાત ભરમાં 80 જેટલાં મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના લાયબ્રેરી, શાળા-કોલેજ, પોલીસ સ્ટેશન, જેલ વગેરેમાં થઇ છે.અમેરિકા સ્થિત સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી ડો. અક્ષય શાહ - અનાર શાહના સહયોગથી અહીં મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના થઇ છે.ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત 125 મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના થાય તેવી લોકલાગણી છે.
વિવિધ વિષયોનાં 100 જેટલાં પુસ્તકો લખ્યાં
મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરનાં ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવાં સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યનાં સંશોધક, સ્વાતંત્ર-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીએ 25 વર્ષના ટૂકાં ગાળામાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં 100 જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. આમાંના 75 જેટલાં પ્રાપ્ય પુસ્તકો 6x3x1 ફૂટનાં કલાત્મક કાચનાં કબાટમાં વિષયવાર મૂકાયા છે. ઝવેરચંદ મેઘાણીએ 1922માં લખેલ પ્રથમ પુસ્તક કુરબાનીની કથાઓથી લઈને 1947માં અવસાન થયુ ત્યારે અપૂર્ણ રહેલી નવલકથા કાળચક્ર ઉપરાંત તેમના અતિ લોકપ્રિય પુસ્તકો યુગવંદના, સિંધુડો, વેવિશાળ, સોરઠ તારાં વહેતાં પાણી, તુલસી-ક્યારો, માણસાઈના દીવા, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, રઢિયાળી રાત, સોરઠી સંતવાણી ખાસ ઉપલબ્ધ કરાયાં છે.
આ પણ વાંચોઃ BJP Road Show in Rajkot 2021 : સૌરાષ્ટ્રનો ગઢ ફતેહ કરવા મુખ્યપ્રધાનની રાજકોટમાં રેલી