વિરમગામઃ માંડલ તાલુકાના વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં મદદનીશ પોલીસ અધિક્ષક ડૉ.લવિના સિન્હાના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે લોકોની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો હતો અને લોકોને સાઇબર ક્રાઈમ વિશે માહિતી પણ આપી હતી. આ કાર્યક્રમમાં પીઆઈ ચૌહાણ, પીએસઆઈ દેસાઈ તથા અન્ય પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો.
આ ઉપરાંત વિઠલાપુરના સરપંચ મનુભા, પૂર્વ સરપંચ પણ હાજર રહ્યા હતા. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉત્તર ગુજરાત ઝોનના પ્રમુખ, ગુજરાત ક્ષત્રિય સેના પ્રમુખ, ગામ બચાવો સમિતિના પ્રમુખ, ભાજપના મુખ્ય પ્રદીપસિંહ, રિટાયર્ડી શિક્ષક નટુભા, જેસંગપુરા આગેવાન ચતુરજી ઠાકોર તેમજ આજુબાજુના ગામના આગેવાનો કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
લોક દરબારમાં લોકોને સાયબર ગુના જેવા કે, સોશિયલ મીડિયા, બેન્કના નામે ઓટીપી માગવો, વ્યાજખોરોના ત્રાસથી કોઈ અણબનાવ ન બને વગેરેની માહિતી આપવામાં આવી હતી.લોકો સાયબર ક્રાઈમથી કેવી રીતે બચી શકે તે અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે આ વિસ્તારની સમસ્યાઓ પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો.