ઉલ્લેખનીય છે કે, અગાઉ હાઈકોર્ટે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ 7મી જાન્યુઆરી સુધી કોઈપણ કાર્યવાહી ન કરવાનો આદેશ કર્યો હતો. જ્યારબાદ આજે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફે સોગંદનામું રજૂ ન કરાતા હાઈકોર્ટ દ્વારા રાહત લંબાવવામાં આવી છે. અમદાવાદ મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે ત્રણેય આરોપીઓના આગોતરા જામીન અરજી ફગાવી દેતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી.
અગાઉ અમદાવાદ મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન ફગાવતા મહત્વનું અવલોકન કર્યું હતું કે, આરોપીઓ વિરૂદ્ધ ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે અને જો તેમને જામીન આપવામાં આવશે તો પુરાવા સાથે ચેડા થઈ શકે છે જેને ધ્યાનમાં રાખીને જામીન ફગાવવામાં આવ્યા હતા. કોર્ટમાં આ મુદે પોલીસ દ્વારા સોગંદનામું રજુ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓની ગેરહાજરીમાં સ્કૂલ દ્વારા લેવામાં આવેલી બોગસ NOC તપાસ માટે મેળવી શકાશે નહિ.
પોલીસે સોગંદનામાં આક્ષેપ કર્યો છે કે, આ કેસના આરોપી અને સહ-આરોપીઓ દ્વારા ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. DPS ઈસ્ટ શાળાએ ખોટી NOC મેળવી શાળા શરૂ કરી હતી. આરોપીઓ સદ્ધર છે અને સ્કુલ સતાધિશો તરફથી પણ તપાસમાં સહયોગ ન મળતો હોવાથી તેમના આગોતરા જામીન મંજૂર કરવામાં ન આવે.
શિક્ષણ વિભાગ દ્વારા DPS પૂર્વ શાળા સંચાલકો કારોકસ ગૃપના એમડી શ્રોફ, હિતેન વંસત અને પૂર્વ પ્રિન્સિપાલ અમિતા દુઆ સામે બોગસ NOC મુદે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી (ગ્રામ્ય) દ્વારા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે NOC ગુજરાત સરકારનું ન હોવાથી CBSEએ DPS સ્કુલની માન્યતા રદ્દ કરી હતી.