અમરેલીના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં રેપ, પોક્સો અને અનૈતિક દેહવ્યાપાર સહિતની કલમો હેઠળ નોંધાયેલી પોલીસ ફરિયાદના કથિત આરોપીએ જામીન મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેની રજૂઆત હતી કે ફરિયાદમાં નોંધાયેલા ગુના મુજબનો કોઇ અપરાધ તેણે કર્યો નથી. ઊલટાનું પીડિતાના નિવેદનો જોતાં જણાય છે કે તે સતત તેના નિવેદનો બદલતી રહી છે અને અનેક લોકોને ગુનામાં સંડોવી રહી છે.
જો અરજદાર વિરૂદ્ધના આક્ષેપોને માની લેવામાં પણ આવે તો પણ તેની વિરૂદ્ધ કોઇ ગુનો બનતો નથી. આ સમગ્ર પ્રકરણમાં થયેલા DNA ટેસ્ટના રિપોર્ટ મુજબ અન્ય સહઆરોપી સાથેના શારીરિક સંબંધોના પગલે સગીરા ગર્ભવતી બની છે. અરજદાર વિરૂદ્ધ કોઇ પૂર્વના ગુના પણ નથી અને તેના ઉપર કુટુંબની જવાબદારી પણ છે. તેથી સંજોગો, તથ્યો અને અરજદાર સામેના આક્ષેપોને ધ્યાનમાં લેતાં તેને જામીન પર મુક્ત કરવો જોઇએ.
સરકાર અને સગીરા તરફથી જામીન અરજીનો વિરોધ કરાયો હતો. જેમાં જણાવ્યું હતું કે પીડિતાએ ૧૬૪ના નિવેદનમાં જણાવ્યું છે કે અરજદારે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતાં. તેને રૂપિયા પણ આપ્યા હતાં. તેથી ૧૬૪ મુજબના નિવેદનને આ તબક્કે નજરઅંદાજ કરી શકાય નહીં. પ્રથમ દ્રશ્ય અરજદારની ગુનામાં સંડોવણી હોવાથી તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ કરવો જોઇએ નહીં. તમામ રજૂઆતોના અંતે પીડિતાના નિવેદનોમાં ભારે વિરોધાભાસ હોવાથી હાઇકોર્ટે અરજદારને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.