અરજદાર જે.એમ. ભરવાડની રજૂઆત છે કે તેઓ નિર્દોષ છે, અને આ કેસમાં તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. જેતપુરમાં નોંધાયેલા લાંચ કેસમાં તેમની કોઈ ભૂમિકા નથી. તેઓ 22 વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. પોલીસ સબ ઈન્સપેક્ટરમાંથી પોલીસ ઇન્સપેક્ટર અને પોલીસ ઇન્સપેક્ટરમાંથી ડી.વાય.એસ.પી. તરીકે તેમણે પ્રમોશન મેળવ્યું છે અને તેમની કામગીરીનો અત્યાર સુધીનો રેકોર્ડ સ્વચ્છ રહ્યો છે. તેથી તેમને આગોતરા જામીન મળવા જોઇએ.

જે.એમ. ભરવાડની હેઠળ ફરજ બજાવતો કોન્સ્ટેબલ વિશાલ સોનારાએ જે.એમ.ભરવાડ વતી રૂપિયા આઠ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હોવાની ફરિયાદ એ.સી.બી.એ નોંધી છે. હથિયારના ગુનામાં ઝડપાયેલા આરોપીને માર ન મારવાના રૂપિયા આઠ લાખ માંગવામાં આવતા ACBમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ધોરાજી સેશન્સ કોર્ટે આ કેસમાં જે.એમ.ભરવાડના આગોતરા જામીન નામંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત આઠમી ઓગસ્ટે સોલા વિસ્તારમાં ટ્રાફિક પોલીસને એક બિનવારસી કાર મળી હતી. કારમાંથી પોલીસનો યુનિફોર્મ મળ્યો હતો અને તપાસ કરતા આ કાર જે.એમ. ભરવાડની હોવાનું બહાર આવ્યું હતું.