અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 ડિસેમ્બર 2023થી 15 જાન્યુઆરી 2024 સુધી ફલાવર શૉનું આયોજન કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનો શુભારંભ કરવામાં આવશે. સોમવારથી શુક્રવાર સુધી 12 વર્ષથી ઉપરની વ્યક્તિઓને પ્રવેશ માટે 50 રૂપિયા અને શનિવાર તેમજ રવિવારના રોજ 12 વર્ષથી ઉપરની વ્યક્તિઓને પ્રવેશ માટે 75 રૂપિયા ચાર્જ રાખવામાં આવેલ છે. શાળા પ્રવાસ માટે આવતા બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.
ઓનલાઇન ટિકિટ ખરીદી શકાશે: ટિકિટના ઘસારાને ધ્યાને રાખી તમામ સીટી સિવીક સેન્ટર ઉપર ટિકીટની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેથી મુલાકાતીઓ ઘરની નજીકથી સહેલાઈથી ટિકિટ ખરીદી શકે તેમજ ઓનલાઇન પણ ટીકીટ મેળવી શકે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.
બમણી સાઇઝનાં સ્કલ્પચર: ગત ફ્લાવર શોમાં પ્રદર્શનમાં મુકવામાં આવેલ સ્કલ્પચરો કરતા બમણી સાઇઝનાં સ્કલ્પચર જેવા કેનવું સંસદભવન, વડનગરનું તોરણ, વિક્રમ લેન્ડર (ચંદ્રયાન-૩), સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોઢેરાનું સુર્યમંદિર, મહિલા સશક્તિકરણ તેમજ બાળકો માટે કાર્ટુન કેરેક્ટર વગેરે પ્રદર્શન માટે મુકવામાં આવનાર છે. ફલાવર શો 2024માં 400 મીટર લંબાઈનું ફલાવર સ્ટ્રક્ચર બનાવામાં આવનાર છે.
ફલાવર શૉનાં મુખ્ય આકર્ષણો: ફલાવર શૉ 2024માં જુદી જુદી વેરાયટી જેવી કે પીટુનીયા, ડાયથસ, ક્રીસથીમમ (સેવંતી), વીમ્કા, ગજેનીયા, બીગોનીયા, એન્ટીરીનીયમ, એસ્ટર, ઈન્વેશીયન, મેરીગોલ્ડ, કેલેનડયુલા, કોલીયસ, તોરણીયા, વર્બેના, સાલ્વીયા, ઓરનામેન્ટલ કેલે, સક્યુલન્ટ એન્ડ કેકટસ પ્લાન્ટ, પાઈન્સેન્ટીયા, ઓર્ચીડ, જરબેરા, ડહેલીયા, લીલીયમ, એન્જીનીરીયમ, એમરન્સ લીલી વગેરે પ્રકારની વેરાયટીનાં ફુલ-છોડની પ્રદર્શની રજૂ કરાશે.
ફુલ છોડના રોપાઓના વેચાણ માટે ખાનગી નર્સરીના સ્ટોલ્સ, જંતુનાશક દવા બિયારણ ખાતર અને ગાર્ડનના ઓજારો તેમજ અન્ય ચીજ વસ્તુના વેચાણ માટેના સ્ટોલ્સ તેમજ ફલાવર ગાર્ડન ખાતે રીફ્રેશમેન્ટ માટે ખાણી-પીણીને લગતા ફુડ કોર્ટ ઉભા કરવામાં આવશે.