- વિરમગામ માંડલ ખાતે સુશાસન દિનની ઉજવણી કરાઈ
- વડાપ્રધાન અને મુખ્યપ્રધાન દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જન સંવાદ
- 9 કરોડ ખેડૂતોને 18 હજાર કરોડ રૂપિયા સીધા બેંક ખાતામાં જમા થયા
અમદાવાદઃ વિરમગામ માંડલ ખાતે પૂર્વ વડાપ્રધાન અટલજીની જન્મજયંતી નિમિત્તે સુશાસન દિનની ઉજવણી કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જન સંવાદ પણ યોજાયો હતો. આ પ્રસંગે પી.એમ કિસાન નિધિ સન્માન યોજના અંતર્ગત વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 9 કરોડ ખેડૂતોને 18 હજાર કરોડ રૂપિયા સીધા બેંક ખાતામાં જમા કર્યા હતા. માંડલ સહિત પંથકમાં ગામડે બુથો પર વડાપ્રધાન મોદીને વીડિયો કોન્ફરન્સ અને ટીવીના માધ્યમથી નિહાળ્યા હતા.

મોટી સંખ્યામાં ખેડૂતો પશુપાલકો રહ્યા હતા ઉપસ્થિત
આ કાર્યક્રમમાં માંડલ ખાતે એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ, અમદાવાદ ગ્રામ્ય ખેતી નિયામક, પશુ ડોક્ટર, આરોગ્ય અધિકારી, ભાજપના મહામંત્રી પસાભાઈ જાદવ, અમદાવાદ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશ ચાવડા સહિત ભાજપ સંગઠનના અનેક કાર્યકરો આગેવાનો માંડલ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યપ્રધાન વિજય રુપાણી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રવચન
આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રવચન અને સાધન સહાય કાર્યક્રમ પણ યોજાયો હતો. સાત પગલાં ખેડૂત કલ્યાણના લોકોને પશુપાલકની કીટ, દૂધ મંડળીની કીટો, છત્રીઓ વગેરે જેવી સહાય લોકોને આપવામાં આવી હતી.
