અમદાવાદ: શહેરમાં તહેવારનું પર્વ પારિવારિક આનંદ ઉત્સવનું બની રહેતું હોય ત્યારે સૌ કોઇની ઇચ્છા હોય કે પોતાના લોકોની વચ્ચે મોજથી તહેવાર ઉજવે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે આનંદ ઉત્સવને એવા લોકો સાથે વહેંચે છે કે જેઓને તેમની સખ્ત જરુર હોય. આપને ખ્યાલ હશે કે થેલેસેમિક દર્દીઓ( Ahmedabad thalassemic children )માટે લોહી મેળવવું આ કોરોના કાળમાં ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. તંત્ર દ્વારા એટલે જ અપીલ કરવામાં આવતી રહેતી હોય છે રક્તદાન માટે આગળ આવો. આ સંજોગોમાં અમદાવાદ જેવા મહાનગરમાં ઉત્તરાયણના તહેવારમાં થેલેસેમિક બાળદર્દીઓ માટે વિશેષ રક્તદાન શિબિર (Blood donation camp for thalassemic children )સીટીએમ સ્થિત શ્રી માં મહાદેવી સેવા ચેરિટેબલ ટ્ર્સ્ટના ઉપક્રમે યોજવામાં આવી હતી. સંસ્થાના સેક્રેટરી અજયભાઈ રાવલ અને હરિ ઓમ પરિવારના સભ્યો દ્વારા આ પુણ્યકાર્ય કરવામાં આવ્યું હતું.
સિવિલમાં મોટી સંખ્યામાં થેલેસેમિક બાળદર્દીઓ
થેલેસેમિક બાળકો માટે યોજાયેલા આ રક્તદાન કેમ્પ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલના(Civil Hospital, Ahmedabad ) તંત્રનું પણ ખાસ યોગદાન રહ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આખા દેશમાંથી થેલેસેમિક બાળ દર્દીઓ આવતાં હોય છે ત્યારે તેઓને નિયમિત અંતરે રક્ત ચડાવવાની મોટી જરુર પડતી હોય છે. સિવિલ હોસ્પિટલમાં નિઃશુ્લ્ક રક્ત પૂરું પાડવામાં આવે છે તે સૌ જાણે છે. ત્યારે કોરોના કાળમાં થેલેસેમિક બાળકો માટે રકત પુરવઠો મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. એવામાં સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિક બાળકો માટે વર્ષોથી કામ કરતી સંસ્થા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવતાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી, સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકના નિધિ બહેન ભટનાગર તથા નર્સિંગ અધિક્ષક બી. કે. પ્રજાપતિ પણ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા બ્લડ બેંકના તબીબી કર્મચારીઓ સાથે આવીને શિબિરનો શુભારંભ કરાવ્યો હતો.
એક વ્યકિતના લોહીમાંથી પ્લાઝમા સહિત ત્રણ કોમ્પોનન્ટ ઉપયોગમાં આવી શકે
રક્તદાન માટે આ સંસ્થા વર્ષોથી નિઃશુલ્ક રક્તદાન શિબિર એટલા માટે યોજે છે કે ઉત્તરાયણના દિવસોમાં દાનનું ખૂબ જ મહત્ત્વ છે ત્યારે જીવનની મોટી પીડા સહન કરી રહેલાં ભૂલકાંઓને માટે પોતાના લોહીનું સિંચન જીવાડવા માટે કામમાં આવે તો તેવું દાન ઉત્તમોત્તમ માનીને સમગ્ર હરિ ઓમ શ્રી પરિવારના સૌ સભ્યો રક્તદાન માટે કાર્યક્રમ સ્થળ એઆઈટી કોલેજ ઓફ એન્જીનિયરિંગ ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં. કોરોના ગાઈડલાઇનના પાલન સાથે કુલ 58 લોકોને તબીબી ટીમ દ્વારા રક્તનું માપન કરી અધિકૃત કરાયાં બાદ રક્તદાન સ્વીકારવામાં આવ્યું હતું. જેમાં એક વ્યક્તિના લોહીમાંથી ત્રણ કોમ્પોનન્ટનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં પ્લાઝમાંનો પણ સમાવેશ થાય છે.
અપેક્ષા વિના લોહીસિંચનની સેવાઃ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ
સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નિસ્વાર્થભાવે વર્ષોથી કોઇ અપેક્ષા વિના કરવામાં આવી રહેલી આવી લોહીસિંચનની સેવાને હું બિરદાવું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. આ રક્તદાનથી કેટલાયની જિંદગી બચી જશે.
આ પણ વાંચોઃ Bhavnagar Municipal Corporation: મહાનગરપાલિકાની જૂની લેણી રકમ 179 કરોડ, ખાલી વ્યાજ જ 108 કરોડ રૂપિયા
યુવાનો, ગૃહિણીઓ રક્તદાન કરી આનંદિત થયાં
રક્તદાન શિબિરમાં થેલેસેમિક બાળકો અને તેમના માતાપિતા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ પોતાની મુશ્કેલીઓ વચ્ચે તેમને રક્તદાન થકી મળતી મદદ વિશે સૌ ઉપસ્થિતોને માહિતી આપી હતી. આ રક્તદાન શિબિરમાં યુવાનોની મોટી સંખ્યા જોવા મળી હતી જ્યારે ગૃહિણીઓ પણ સારી એવી સંખ્યામાં રક્ત આપવા માટે સક્ષમ નીવડતાં ખૂબ આનંદ અનુભવી રહી હતી.
રક્તદાનથી થેલેસેમિક બાળકોના ચહેરા પર ખુશી
થેલેસેમિક બાળકો માટે રક્તદાન કરનારાં ભાવના બહેન પટેલે જણાવ્યું હતું કે અમે ઘરના લોકોનો તો દિવસરાત ખ્યાલ રાખીએ છીએ પણ જ્યારે આવા બાળકો માટે અમે લોહીનું દાન કરી રહ્યાં છીએ તો અમને એટલી બધી ખુશી થઇ રહી છે કે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી. તો એક યુવા રક્તદાતા નિરાંત મહેતાએ જણાવ્યું હતું કે મેં આજે પહેલીવાર રક્તદાન કર્યું છે ત્યારે મને અહેસાસ થઇ રહ્યો છે કે યુવાનોએ આવી પ્રવૃત્તિમાં શા માટે આગળ આવવાની જરુર હોય છે. થેલેસેમિક બાળકોના ચહેરા પર અમારા રક્તદાનથી જે ખુશી જોવા મળી છે તે જોઈને મને ખૂબ જ આનંદ અને કંઇક કરી શકવાની લાગણી અનુભવાઈ રહી છે. અમે ધ્યાન યોગ શિબિર, સૂર્યપૂજન સહિત ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં ઉત્તરાયણનું મહાત્મ્ય પણ કરીએ છીએ ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ તેમાં સોનામાં સુગંધ જેવી ભળી રહી છે તેનો અમને ખૂબ આનંદ છે.