અમદાવાદમાં 260 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનાર વિનય શાહની પત્નિ ભાર્ગવી શાહે જામીન માટે સોમવારના રોજ હાઇકોર્ટમાં રિટ દાખલ કરી હતી. જે મામલે ભાર્ગવી શાહના વકીલ એ.એસ ટીંબાલિયાએ હાઈકોર્ટમાં રજુઆત કરી હતી કે, સમગ્ર કૌભાંડ આચરનાર મૂળ આરોપી અરજદારનો પતિ વિનય શાહ છે.
જ્યારે તેની પત્ની નિર્દોષ અને વ્યવસાયમાં સંડોવાયેલી નથી. અરજદારે ફરિયાદી પાસેથી એક રૂપિયો પણ લીધો નથી. વિનય શાહની પત્ની હોવાથી તેને લાંબા સમયથી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવી છે.
આ કેસમાં પોલીસ તપાસ પૂર્ણ થઈ ચુકી છે. જે અંગેની ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ હોવાથી તેને જામીન આપવા જોઈએ. અગાઉ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે તમામ ગુનામાં ભાર્ગવીના જામીન ના-મંજુર કરતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ છે.
તો આ મામલે અરજદારે પુરાવવા સાથે કોઈ પ્રકારના ચેડાં કર્યા નથી. વળી પિતા વૃદ્ધ અને છોકરો અભ્યાસ કરતો હોવાથી તેમની સાથે રહેવું પણ ખુબ જ જરૂરી છે.
હાઈકોર્ટે આ મામલે પોલીસને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે. ભાર્ગવી શાહ વિરૂદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હામાં જામીન મેળવવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન માર્કેટિંગ થકી લોકોને પૈસાની લાંલચ આપી વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ પર લોકો સાથે કરોડો રૂપિયાની છેંતરપીંડીનો આક્ષેપ લગાડવામાં આવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના પ્રમાણે ઓફિસમાં વિનય શાહ અને ભાર્ગવી શાહની હાજરીમાં ફરિયાદીએ 1 લાખ રૂપિયા જેટલું રોકાણ કર્યુ હતું. જો કે તેના પછી કોઈ લાભ ન મળતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.