અમદાવાદઃ દેશની સૌથી મોટી બીજા નંબરની ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદના જમાલપુર ખાતેથી મંગળવારના રોજ નીકળવાની છે. ત્યારે આ જ ભગવાનના નેત્રોત્સવ વિધિ તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં 1000થી પણ વધારે સાધુ સંતોએ ભંડારામાં પ્રસાદ લીધો હતો. ત્યારે સાંજે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી પણ મંદિરે પહોંચ્યા હતા.
સમીક્ષા કરી: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા પહેલા ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. સૌપ્રથમ મંદિરમાં દર્શન કરીને હર્ષ સંઘવીએ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટના પદાધિકારીઓ અને અન્ય આગેવાનો સાથે બેઠક કરી હતી. ત્યારબાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે શ્રી હર્ષ સંઘવી 16 કિલોમીટરના સમગ્ર રૂટ ની સમીક્ષા કરવા માટે રવાના થયા.જગન્નાથ મંદિરથી શરૂ થયેલી આ સમીક્ષા યાત્રા રથયાત્રાના રૂટ એક બાદ એક પડાવો પસાર કરતા આગળ વધી હતી.
ભક્તિમય માહોલ: રૂટ પર આવતા અનેક ચોક, પોળના નાકાઓ, ધાર્મિક સ્થળો પર સૌહાર્દપૂર્ણ વાતાવરણના દૃશ્યો જોવા મળ્યા હતા. જ્યાં જ્યાંથી પોલીસ કાફલો પસાર થયો ત્યાં ઘર, દુકાન અને ચાર રસ્તા પર "કોમી એકતા ઝિંદાબાદ", "ભારત માતા કી જય", "વંદે માતરમ", "જય રણછોડ, માખણચોર"ના નારા લગાવવામાં આવ્યા હતા. જેનાથી આખો રુટ પર ભક્તિમય માહોલ બની ગયો હતો. ઉલ્લેખનીય છે કે, રથયાત્રાના બંદોબસ્તમાં વિવિધ રેન્કના 25 હજાર થી વધુ સુરક્ષા જવાનો જોડાયા છે.
મેગા બંદોબસ્ત:11 આઇજી કક્ષાના, 50 એસપી, 100 ડીવાયએસપી, 300થી વધુ પીઆઇ, 800 પીએસઆઇ, 35 કંપની એસ આર પી/સીઆરપીએફ, 6 હજાર હોમગાર્ડ મળી કુલ 25 હજારથી વધુ જવાનો સુરક્ષાનો મોરચો સાંભળશે. સમગ્ર બંદોબસ્તમાં સેન્ટ્રલ પોલીસ, રાજ્ય પોલીસ, નજીકના જિલ્લા અને શહેર પોલીસના જવાનો બંદોબસ્તમાં જોડાશે. અમદાવાદ પોલીસ કમિશનર સહિત સમગ્ર પોલીસ ટીમે રિહર્સલ કર્યું છે. 15થી વધુ વિભાગો સાથે આ મેગા બંદોબસ્ત રાષ્ટ્રીય સ્તરે દાખલારૂપ છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે વિસ્તારમાંથી પસાર થનાર છે એ તમામ સ્થળો પર સલામતી લક્ષી 360 ડિગ્રી સમીક્ષા કરવામાં આવી હતી.