અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં કિરણ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ જરૂરિયાતમંદ લોકોને પુસ્તકો આપીને સમાજ સેવા કરે છે. થોડા દિવસ પહેલા તેમની પાસે બી.એડ.ના પુસ્તકની માંગણી કરાઇ હતી. આથી, તેઓ 4 નવેમ્બરના રોજ તેમના પત્ની સાથે ફર્નાન્ડિઝ બ્રીજ નીચે આવેલા ચોપડા બજારમાં ગયા હતાં. અહીં તેઓ યુનિવર્સિટીના ગુજરાતી માધ્યમના બીએડના પ્રથમ સેમેસ્ટરના પુસ્તકની ખરીદી કરવા પહોંચ્યા હતાં, ત્યારે તેમણે કમલેશ બુક સ્ટોરમાંથી બુક ખરીદી હતી. બાદમાં તેઓ આ ચોપડીનો અભ્યાસ કરતા હતાં, ત્યારે આ પુસ્તકમાં દર્શાવેલા રૂઢિપ્રયોગો અને કહેવતો તથા વાક્યપ્રયોગો તેમના ધ્યાન પર આવ્યા હતાં.
બી.એડ.ના પુસ્તકના પાના નંબર 219 પર વિવિધ કહેવતો અર્થ સાથે લખી હતી. જેમાં 19 નંબરની કહેવત અનુસૂચિત જાતિના લોકોનું અપમાન કરતી હતી. પુસ્તકમાં કહેવતનો અર્થ લખ્યો હતો કે, ગામમાં બધા માણસો સારા ન હોય, કોઇ ખરાબ પણ હોય. આ કહેવત લેખક નટુભાઇ રાવલ તરફથી લખવામાં આવી હતી. કિરણભાઇએ આ અંગે પોલીસને જાણ કરી હતી અને સમાજને હીન દર્શાવવા માટે આ શબ્દોનો પ્રયોગ કર્યો હોવાના આક્ષેપ સાથે તેમણે નિરવ પ્રકાશનના નિરવ શાહ અને લેખક નટુભાઇ રાવલ સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એમેડ એક્ટ 3(1)R, આઇપીસી 144, 114 અને અનુ. જાતિ અને અનુ.જનજાતિ પ્રતિબંધ અધિનિયમ 3(1)U મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે કાલુપુર પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.