પટનાઃ તાજેતરમાં જ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત જ્યાં રહેતા હતા તે જિલ્લા પૂર્ણિયામાં તેમને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અહીં એક ચોક અને રસ્તાનું નામ સુશાંતના નામ પર રાખવામાં આવ્યું છે. પુષ્પમ પ્રિયા ચૌધરી જેમણે હવે બિહારમાં પોતાને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે, તેમણે સીએમ નીતીશ કુમારને પત્ર લખીને, સ્વર્ગસ્થ સુશાંતસિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના નામ પરથી પટના પ્લેનેટેરિયમને નામ આપવા વિનંતી કરી છે.

પુષ્પમ પ્રિયા ચૌધરીએ ટ્વિટ કરીને લખ્યું કે, 'સ્વ.સુશાંત સિંહ રાજપૂત, તેજસ્વી અભિનેતા અને ઉત્સાહી ખગોળશાસ્ત્રી હતા. બહુમુખી બિહારી પ્રતિભાનું બીજું ઉદાહરણ એટલે સુશાંત. મેં બિહારના વર્તમાન મુખ્યપ્રધાનને એક પત્ર લખીને વિનંતી કરી છે કે, તેમણે પટનાના ઈંદિરા ગાંધી પ્લેનેટેરિયમનું નામ "એસએસઆર પ્લેનેટેરિયમ" રાખવું જોઈએ.
પુષ્પમે આગળ લખ્યું છે કે, 'ઇન્દિરાજી એક મહાન રાજકારણી હતા. તેમના નામે પહેલાથી પૂરતા સ્મારકો અને સંસ્થાઓ છે. અને આપણે જાણીએ છીએ તેમ, જો ઈંદિરાજી આજે હોત તો તેમણે પણ આમ જ કર્યું હોત. આ જ વાત મેં વર્તમાન મુખ્યપ્રધાનને લખી છે. આશા છે કે તે આ અંગે ઝડપી નિર્ણય લેશે, નહીં તો 4 મહિના પછી આ થવાનું જ છે.'
તેમણે લખ્યું હતું કે '... પરંતુ હવે જ્યારે આ કરવામાં આવ્યું નથી, ત્યારે વિજ્ઞાન અને ખગોળશાસ્ત્રમાં રસ વધારવા અને પટનાના તેજસ્વી યુવક દિવંગત યુવા સુશાંતજીને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે પટના પ્લેનેટેરિયમનું નવું નામ તેમના નામે રાખવામાં આવે.
પુષ્પમ પ્રિયા ચૌધરી જેડીયુ નેતા અને વિધાન પરિષદના સભ્ય વિનોદ ચૌધરીની પુત્રી છે. મૂળ બિહારના દરભંગાના છે. પુષ્પમે લંડનની પ્રખ્યાત લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી જાહેર વહીવટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. પ્લૂરલ્સ પક્ષના પ્રમુખ છે. તેમની પાર્ટીનો લોગો પાંખવાળા ઘોડાનો છે.