મેક્સિકો સિટી: મેક્સિકોના એક વ્યસન મુક્તિ કેન્દ્ર પર કેટલાક બંદૂકધારીઓએ ફાઇરિંગ કર્યું હતું. જેમાં 24 લોકોના મોત થયા હતા તથા સાત લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે, આ કેન્દ્રનું રજિસ્ટ્રેશન પણ નથી.
પ્રાપ્ત વિગત અનુસાર બુધવાર રોજ મેક્સિકોના ગુઆનાજુઆટો રાજ્યના આરાપાઉટો શહેરમાં આવેલા નશા મુક્તિ કેન્દ્ર (ડ્રગ્સ રિહેબિલિટેશન)માં કેટલાક બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં 24 લોકોના મોત થયા હતા જ્યારે સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલાખોરોએ કોઇનું અપહરણ નથી કર્યું. જોકે, હુમલા પાછળનું કારણ હજુ જાણી શકાયુ નથી.
પોલીસના જણાવ્યા અનુસાર સાત ઘાયલમાંથી ત્રણની હાલત ગંભીર છે. ગુઆનાજુઆટોમાં મેક્સિકન ક્રાઇમ ગ્રુપ જલિસ્કો કાર્ટેલ અને એક લોકલ ગેંગની વચ્ચે ખુની ખેલ થતો રહેતો હોય છે. ગુઆનાજુઆટો રાજ્યના ગવર્નર અનુસાર આ હુમલા પાછળ માદક દ્રવ્યોની તસ્કરી કરતા ગ્રુપની સંડોવણી હોઇ શકે છે. ગત મહિને પણ આવો એક હુમલો થયો હતો.