બિન સચિવાલયની પરીક્ષા રદ્દ થયા બાદ પુનઃ એક ભરતી પરીક્ષા વિવાદમાં આવી છે. વીજ કંપની દ્વારા જુનિયર આસિસ્ટન્ટના પદ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ ભરતી પ્રક્રિયામાં ઇકોનોમિક બૅકવર્ડ ક્લાસના પરીક્ષાર્થીઓ વંચિત ન રહી જાય તે માટે પ્રક્રિયા રદ કરી પુનઃ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ નવા જાહેરનામાના નિયમોમાં ફેરફાર કરાતા પરીક્ષાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જૂના જાહેરનામા મુજબ કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએટ થયેલો વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકતો હતો, જ્યારે નવા નિયમમાં 55થી વધુ ટકા વાળા ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે.
સોમવારે વડોદરાના વિદ્યાર્થી ઉમેદવારોએ રેસકોર્સ સ્થિત વીજ કંપની ડિવિઝનલ મુખ્ય કચેરી બહાર પોસ્ટરો સાથે દેખાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ન્યાય આપોના સુત્રોચ્ચાર કર્યાં હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ન્યાય નહીં મળવા પર આંદોલન યથાવત રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.