દેશભરમાં હુલ્લડોને કારણે રોજ હિંસક તસ્વીરો સામે આવી રહી છે, ત્યારે સુરતના અબ્રામા વિસ્તારમાંથી આવેલી તસ્વીરો દેશના લોકોને પ્રેરણા આપે એવી છે. કારણ કે, હિન્દુ પિતા પિતા વિહોણી મુસ્લિમ દીકરીઓના નિકાહ કરાવતા નજરે ચડ્યા છે. સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી દર વર્ષે પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવતા હોય છે, પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે, તેઓ મુસ્લિમ સમાજમાંથી આવતી પિતા વિહોણી ગરીબ દીકરીઓની પણ સાથે રહ્યા છે. એક મુસ્લિમ પિતા જે રીતે પોતાની દીકરીના લગ્નમાં બેસીને વિધિ કરાવતા હોય છે તે જ રીતે મહેશ સવાણી પણ મુસ્લિમ પિતા વિહોણી દીકરીઓના પિતા બની વિધિ કરાવતા નજરે આવ્યા હતા. સૌથી અગત્યની વાત છે કે, છેલ્લા 8 વર્ષમાં મુસ્લિમ સમાજની 39 દીકરીઓના લગ્ન કરાવી તેઓ તેમના પાલક પિતા બની ગયા છે.
મહેશ સવાણીએ 271 પિતા વિહોણીની દીકરીઓ માટે લગ્નોત્સવનું આયોજન કર્યું, ત્યારે હિન્દુ પરંપરાગત રીતે ચાલી રહેલા લગ્ન મહોત્સવમાં મુસ્લિમ દીકરીના નિકાહ થઈ રહયા હતા. એક જ જગ્યાએ નિકાહ અને લગ્નની વિધિ કરાવવામાં આવી હતી. માત્ર નિકાહ જ નહીં મહેશ સવાણીએ આ દીકરીઓના કરિયાવરમાં સોનાના દાગીના, ઘરનો તમામ સામાન અને અન્ય વસ્તુઓ પણ આપી હતી.
પિતા વિહોણી મુસ્લિમ દીકરીઓ માટે મહેશ સવાણી ભગવાન દ્વારા મોકલવામાં આવેલા દેવદૂતથી ઓછા નથી. દીકરીઓએ જણાવ્યું હતું કે, તેમણે ક્યારેય પણ વિચાર્યું નહોતું કે, પિતા ન હોવા છતાં તેમના આટલા ભવ્ય લગ્ન કરાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વિવિધ સમાજ જાતિ અને ધર્મની આશરે 3000 દીકરીઓના પાલક પિતા મહેશ સવાણી દીકરીઓને તેમના પિતા નથી એવો એહસાસ થવા દેતા નથી, ત્યારે મુસ્લિમ સમાજની દીકરી માટે પણ આગળ આવેલા મહેશ સવાણીથી સમાજના લોકો ઘણુ બધુ શીખી શકે છે.