લોકોના ઘર આંગણે રાવણના પૂતળાનું દહન કરી શકાય તે માટે ફટાકડાના વિક્રેતાઓ દ્વારા આતશબાજીથી સજ્જ છોટા રાવણના પૂતળા વેચાણ માટે મુકવામાં આવ્યા છે. જેની ખરીદી પણ બજારમાં જોવા મળી રહી છે. સુરત સહિત દેશભરમાં દર વર્ષે રાવણ દહનને લઈને 65 ફૂટથી લઈને 30 ફૂટ સુધીના રાવણના પૂતળા આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે, પરંતુ આ વર્ષે સુરતમાં ફટાકડાના છોટા રાવણ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ફટાકડાના આ છોટા રાવણની ખાસિયત એ છે કે, તે માત્ર 1:25 ફૂટના છે અને તેમાં અલગ અલગ પ્રકારના ચાર ફટાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
દશેરાનો પર્વ શક્તિના સ્વરૂપમાં ઉજવાય છે, ત્યારે બાળકોને અસત્ય પર સત્યની જીત સમજાવવા માટે તેમના વાલીઓ દ્વારા ફટાકડાવાળા 400 રૂપિયાની કિંમત ધરાવતા આ નાના રાવણની ખરીદી કરવામાં આવી રહી છે. જેથી આજના એડવાન્સ બાળકોને ભારતીય સંસ્કૃતિને પ્રેક્ટિકલી સમજાવી શકાય. આ પ્રકારના નાના રાવણ ખાસ કરીને બાળકો માટે બનાવવામાં આવ્યા છે. કારણ કે, નાના બાળકો પોતે આવા રાવણનું પૂતળું બનાવી શકતા નથી.
ફટાકડાના 1:25 ફૂટના રાવણમાં નાનો સુતળી બોમ્બ, લવિંગ્યા ફટાકડાની લૂમ, નાની કોઠી, નાની ચકરડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાવણના પૂતળાને બનાવવા પૂઠા, કાગળ અને ઘાસ વાપરવામાં આવ્યા છે. જેથી તે 1 થી 1:30 મિનિટ સુધી સળગી શકશે. સાથે જ આ પ્રકારના ફટાકડાથી પ્રદૂષણ ન્યૂનત્તમ માત્રામાં થાય છે. જે વિચારધારા સાથે છોટા રાવણના પૂતળા બનાવી બજારમાં મુકવામાં આવ્યા છે.