- અરવિંદ કેજરીવાલે સુરતમાં સભા સંબોધી
- કોંગ્રેસ અને ભાજપના નેતાઓને આપમાં જોડાવા આપ્યું આમત્રણ
- તક્ષશિલા અગ્નિ કાંડમાં મૃત્યુ પામનારા માસૂમોને શ્રદ્ધાંજલિ આપી
સુરતઃ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે રીતે આમ આદમી પાર્ટીનું પ્રદર્શન રહ્યું છે, તેનાથી ખુશ થઈને અરવિંદ કેજરીવાલે રોડ શોનું આયોજન કર્યું હતું. તેમજ કેજરીવાલે તક્ષશિલા અગ્નિ કાંડમાં મૃત્યુ પામનારા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યારબાદ આ જ સ્થળે જનસભાને સંબોધિત કરી હતી. જનસભાને સંબોધિત કરતા પહેલા તેઓએ તક્ષશિલા અગ્નિ કાંડમાં મૃત્યું પામનારા માસૂમ બાળકો માટે સંવેદના વ્યક્ત કરી હતી. સુરતથી સભા સંબોધી રહેલા અરવિંદ કેજરીવાલના સંબોધનમાં નગરપાલિકાની જીતની ખુશી ઓછી અને આવનારા 2022 ની વિધાનસભાની ચૂંટણીને લઇ તૈયારીઓ અંગે વક્તવ્ય વધારે હતું. તેઓએ જણાવ્યું હતું કે, માત્ર પાંચ વર્ષમાં દિલ્હીમાં તેઓએ મફત વીજળી, પાણી જેવી સુવિધા આપી છે. તેમજ કહ્યું કે, સારા શિક્ષણની સુવિધાઓ ત્યાંના સ્થાનિક લોકોને મળી રહી છે તો 25 વર્ષમાં આ તમામ સુવિધાઓ ભાજપની સરકાર શા માટે ગુજરાતની જનતાને આપી શકી નથી, મફત વીજળી, પાણી આપવામાં ભાજપની સરકાર નિષ્ફળ રહી છે.
દિલ્હીમાં લાખોની સંખ્યામાં યુવાનોને રોજગારી આપીઃ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, જ્યારે પણ ગુજરાતના શિક્ષિત બાળકો ધોરણ 10 અને 12 પાસ કરે છે ત્યારે એડમિશન માટે તેઓ અનેક સ્થળે ધક્કા ખાતા હોય છે અને જેમતેમ કરીને જો કોલેજમાં એડમિશન થઈ પણ જાય ત્યારે કોલેજ પૂર્ણ કર્યા બાદ નોકરી માટે ધક્કા ખાય છે. દિલ્હીમાં તેઓએ લાખોની સંખ્યામાં યુવાનોને રોજગારી આપી હોવાની વાત કરી હતી. સાથે જણાવ્યું હતું કે, પાંચ વર્ષ આમ આદમી પાર્ટીને લોકો ગુજરાતમાં તક આપે અને ત્યારબાદ તેઓ છેલ્લા 25 વર્ષમાં જે ભાજપે કાર્ય કર્યું હશે તે ભૂલી જશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAPને મત આપવા કરી અપીલ
સુરતની 6 મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સહિત નગરપાલિકાની ચૂંટણી 28મી ફેબ્રુઆરીના રોજ થવા જઈ રહી છે. જેના માટે મંચ પરથી અરવિંદ કેજરીવાલે લોકોને અપીલ કરી હતી કે, જે રીતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પોતાનું સમર્થન આપ્યું છે, તે જ રીતે આગામી ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીને સમર્થન આપે.
ગુજરાત કોંગ્રેસ અને ભાજપના નેતાઓને AAPમાં જોડાવા માટે જાહેર મંચ પરથી આમંત્રણ
સુરતમાં શક્તિ પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સુરતથી ગુજરાત કોંગ્રેસ અને ભાજપના કેટલાક નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આવાહન કર્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ હવે સમાપ્તિની તરફ છે ત્યારે કોંગ્રેસમાં કેટલા સારા નેતાઓ પણ છે હું તેમને આમંત્રણ આપું છું કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાય સાથે તેઓએ જણાવ્યું હતું કે, ભાજપમાં પણ કેટલાક દેશભક્ત નેતાઓ છે તેઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.