રાજકોટ: કોરોના મહામારી દરમિયાન દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને કારણે ગુજરાતમાંથી મોટાભાગના પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતનમાં જતા રહ્યા છે. જ્યારે કેટલાક શહેરમાં શ્રમિકો માટે વતન જવાની વ્યવસ્થા ન સર્જાતા પરપ્રાંતિયો દ્વારા હોબાળો અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી મોટાભાગના પરપ્રાંતિયો ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિતના રાજ્યોમાં પોતના વતન ગયા હતા. પરંતુ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 10 વર્ષથી કામ કરતા રાજસ્થાનના બાડમેર જિલ્લાના કેટલાક પરપ્રાંતિયો રાજકોટ બેડી માર્કેટિંગયાર્ડ ખાતે પરત ફર્યા છે.
આ અંગે ઈટીવી ભારત દ્વારા બેડી માર્કેટિંગયાર્ડમાં વેપારી દલાલનું કામ કરતા વલ્લભભાઈ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, રાજકોટ યાર્ડમાં ઘણા વર્ષોથી 2 હજારથી વધુ શ્રમિકો મજૂરીના કામ સાથે સંકળાયેલા છે. લોકડાઉન સમયે યાર્ડ બંધ હોવાના કારણે પોતાના વતનમાં જતા રહ્યા હતા. પરંતુ લોકડાઉન 4માં ગુજરાત સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવતા સૌરાષ્ટ્ર ભરના યાર્ડ ધમધમી ઉઠ્યા હતા. પણ યાર્ડમાં જૂના મજૂરોના હોવાના કારણે મોટાભાગનું કામ અટકી પડ્યું હતું. જ્યારે પોતાના વતનમાં ગયેલ રાજસ્થાનના શ્રમિકોને પણ કામ ન મળતું હોવાના કારણે તેઓ પણ ત્યાં ઘરે જ રોજગારી વગર બેઠા હોવાની જાણ અમને ફોન મારફતે કરી હતી. જેને લઈને અમે રાજકોટ યાર્ડના સત્તાધીશો સાથે મળીને આ મામલે ચર્ચા કરી તેમજ રાજકોટ અને રાજસ્થાનના બાડમેર જિલ્લાના કલેક્ટરની મદદથી રાજકોટ યાર્ડમાં 27 જેટલા શ્રમિકોને પરત લાવવામાં આવ્યા હતા.
હાલ રાજકોટમાં રાજસ્થાનથી આવેલા તમામ શ્રમિકોને માર્કેટિંગયાર્ડમાં જ વેપારીઓની દુકાનોમાં કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમજ તેમની તમામ પ્રકારની રહેવાની અને જમવાની વ્યવસ્થા રાજકોટ યાર્ડ દ્વારા કરવામાં આવી છે. ત્યારે 14 દિવસનો કોરન્ટાઈન પિરિયડ પૂર્ણ થયા બાદ શ્રમિકો ફરી યાર્ડમાં કામે લાગશે.
બીજી તરફ રાજસ્થાનથી આવેલા શ્રમિકોએ પણ માગ કરી છે કે, હાલ બાડમેર જિલ્લામાં કોરોનાના કેસ ખુબજ ઓછા છે. જેને લઈને અહીં અમને જો 7 દિવસ માટે કોરન્ટાઈનના સમયમાં રાખે તો અમે અમારા વતનમાંથી આવીને 7 દિવસ બાદ તરત કામ પર લાગી જઈએ. પરંતુ 14 દિવસ સુધી બેસી રહેવું એ અમને પોસાય તેમ નથી. હજી પણ આવા અનેક શ્રમિકો છે જે રાજકોટ પરત ફરવા માગે છે.