રાજકોટઃ જિલ્લાના ગોંડલમાં નગરપાલિકા પ્રોપર્ટી ટેકસમાં તેમજ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રીબેટ યોજનામાં 20 ટકા માફી આપે તેવી વિપક્ષે માગ કરી છે. ગોંડલ નગરપાલિકાના વિપક્ષી સદસ્ય યતીશ દેસાઈએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને આ બાબતે પત્ર પણ લખ્યો છે.
નગરપાલિકાના વિપક્ષી સદસ્યે લખેલા પત્રમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારના ગુજરાત આત્મનિર્ભર પેકેજના ભાગરૂપે પ્રોપર્ટી ટેક્ષ ગોંડલ નગરપાલિકા વસૂલ કરે છે, જેમાં ચાલુ વર્ષમાં પ્રોપર્ટી ટેકસમાં 20 ટકા માફી તેમજ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રીબેટ યોજનામાં 20 ટકા રિબેટની કરેલી જાહેરાતનો ગોંડલ નગરપાલિકા તાત્કાલિક અસરથી અમલ કરી લોકોને રાહત આપે તેવી નગર પાલિકાના વિપક્ષી સદસ્યોની માગ છે, અન્યથા કોરોનાની મહામારીમાં આંદોલનની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
![Gondal municipality](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7854797_439_7854797_1593639426225.png)
ગોંડલ શહેરમાં માત્ર ત્રણથી ચાર ઇંચ વરસાદમાં ભૂગર્ભ ગટરના કારણે અડધા શહેરમાં ગોઠણસમા પાણી ભરાઇ રહ્યાં છે, જેના થકી ભૂગર્ભ ગટરનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે, આવનારા દિવસોમાં ભૂગર્ભ ગટરના ભ્રષ્ટાચારનો પાપ શહેરીજનોને ભોગવવો ન પડે તે માટે ત્વરિત ભૂગર્ભ ગટરના બુગદા સાફ કરી યોગ્ય પગલા લેવાની ખાસ જરૂર છે તેવું અંતમાં તેમણે જણાવ્યું હતું.