જૂનાગઢઃ સમગ્ર વિશ્વને હચમચાવી નાખનારા કોરોના જેવી મહામારી આજે સમગ્ર રાષ્ટ્રમાં ભય ફેલાવી રહી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રને ઉપયોગી થવા માટે દરેક વ્યક્તિ પોતાની તત્પરતા દર્શાવતો હોય છે. જૂનાગઢની કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતો મૌલિક ભરાડ નામનો વિદ્યાર્થી અને ભવનાથ સ્થિત ગંગારામ આશ્રમ બાલકનાથ મંદિરના મહંત આ મહામારી સામે લડવા તેમજ રાષ્ટ્ર કોરોનાથી મુક્ત બને તે માટેની લડાઈમાં તેમના આર્થિક સહાય કરી હતી.
નાનકડા મૌલિક ભરાડે વેકેશન દરમિયાન નવી સાઇકલ ખરીદવા માટે એક એક રૂપિયો કરીને અંદાજિત 8,000થી 10,000 રૂપિયા એકઠા કર્યા હતા. કોરોના સામે લડવા માટે મૌલિકે પોતાની સાઇકલને પડતી મૂકી પોતે જમા કરેલા રૂપિયા જિલ્લા પોલીસ વડા ડૉ.સૌરભ સિંહને અર્પણ કર્યા હતા.
બીજી તરફ ભવનાથમાં આવેલા ગંગા આશ્રમ બાલકનાથ મંદિર તેમજ જૂના અખાડાના મહંત કમલગીરી બાપુએ પણ રાષ્ટ્રીય મહામારી કોરોના સામે લડવા 1,11,000 જેટલી રકમનું દાન જૂનાગઢ મ્યુનિસિપલ કમિશ્નરને કર્યું હતું.
જૂનાગઢને સંત અને સુરાની સાથે દાતારની ભૂમિ પણ માનવામાં આવે છે, ત્યારે રાષ્ટ્ર પર આવી ચડેલી આ મહામારીને નાથવા માટે જૂનાગઢમાંથી પ્રાર્થનાની સાથે દાતારીની સરવાણી પણ અવિરત જોવા મળી રહી છે.