ગુરુવારે વનવિભાગની કચેરી જૂનાગઢમાં ભારતીય કિસાન સંઘ અને ગીર સોમનાથના પદાધિકારીઓ તેમજ વનવિભાગના અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર પુર્વના ધારી, સોમનાથ અને ગીર પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક સહિત વનવિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં ભારતીય કિસાન સંઘે ખેડૂતો પર સિંહ અને દિપડા દ્વારા કરવામાં આવતા હુમલાને લઈને ચિંતાઓ વ્યક્ત કરી હતી. તેમજ હુમલાનો ભોગ બનેલા ખેડૂત પરિવારોને સરકાર દ્વારા જે રોકડ 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે તેમાં વધારો કરી 10 લાખ રૂપિયા સુધી કરવાની માગ કરી છે.
ભારતીય કિસાન સંઘે તેમની જે માગો કરી છે તેને રાજ્યના વન વિભાગ અને સરકાર સમક્ષ રાખવાની ગીર વનવિભાગના અધિકારીઓએ કિસાન સંઘને આશ્વાસન આપ્યું છે. કિસાન સંઘની તમામ માગો સરકાર સમક્ષ મુકવામાં આવશે અને સરકાર દ્વારા જે કંઈ પણ સૂચનાઓ ગીર વન વિભાગને મળશે તે મુજબ ગીર વન વિભાગ કામ કરશે તેવી હૈયાધારણા કિસાન સંઘના પદાધિકારીઓને આપવામાં આવી છે.