ચોમાસા દરમિયાન અતિભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોની મગફળીનો પાક નિષ્ફળ નીવડ્યો હતો. ગત વર્ષની સરખામણી આ વર્ષે 140 ટકા જેટલો વરસાદ પડતા મગફળીનો પાક સંપૂર્ણ પણે નષ્ટ થઇ ગયો હતો. હવે કપાસના પાક પર પણ ગુલાબી ઈયળના રૂપમાં ખતરો મંડરાય રહ્યોં છે. ગુલાબી ઈયળના આક્રમણને પગલે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી. પોરબંદર સહિતના જિલ્લામાં કપાસનો પાક નષ્ટ થવાને આરે છે. જેને કારણે જગતનો તાત ચારે તરફથી ગંભીર વિસામણમાં ફસાયો છે.
ગુલાબી ઈયળના ત્રાસથી ખેડૂતો કપાસને ખેતરમાંથી બહાર કાઢી રહ્યાં છે. ગત બે-ત્રણ વર્ષથી સૌરાષ્ટ્રમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હતો. પરંતુ આ વર્ષે ગુલાબી ઈયળનું ઉપદ્રવ નહીં પણ આક્રમણ હોય તે પ્રકારે સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર કપાસના પાકમાં ગુલાબી ઈયળે ઘર કરી લેતા કપાસનો પાક સંપૂર્ણ નષ્ટ થયો છે. ગુલાબી ઈયળને કપાસના કેન્સર સમાન માનવામાં આવે છે. ઈયળ પર કાબુ મેળવવા કોઈ પણ પ્રકારની જંતુનાશક દવાનો પણ અસર થતો નથી. જેથી તેના પર નિયંત્રણ કરવું પણ લગભગ અશક્ય છે.