- પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં રસીકરણ કેમ્પનો પ્રારંભ
- 45 વર્ષથી ઉપરના દરેક નાગરિકે પરિવાર,સમાજ અને દેશને સુરક્ષિત કરવા રસી લેવી
- તમામ લોકોએ વેક્સિન લેવા આગળ આવવું જોઈએ
જામનગરઃ અલગ-અલગ સંસ્થાઓ દ્વારા વધુમાં વધુ લોકો રસી લે તે માટે સતત કેમ્પ યોજાઇ રહ્યા છે. શહેરના ગુલાબનગર વિસ્તારના નારાયણનગર અને કાશીવિશ્વનાથ રોડ પરના બ્રહ્મ સમાજની વાડી ખાતે ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ તથા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી રસીકરણ કેમ્પ યોજાયા હતા. આ કેમ્પમાં 250થી વધુ લોકોએ રસી લઇ જામનગરને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપ્યો હતો.
આ પણ વાંચોઃ પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 103 સ્થળોએ વેક્સિનેશન કેમ્પ યોજાયા
દરેક વ્યક્તિએ વેક્સિન લેવી જરૂરી છે
59 વર્ષિય અશોકભાઈ ભટ્ટે લોકોને આગ્રહ કરતા કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર ભયંકર રીતે પ્રસરી રહી છે. ત્યારે આપણને સુરક્ષા મળે, આપણા સમાજને, કુટુંબને શાંતિ મળે તે માટે સરકારી માન્યતા પ્રાપ્ત જે વેક્સિન હાલમાં અપાઈ રહી છે, તે દરેકએ લેવી જરૂરી છે.
વેક્સિનથી કોરોનાને હરાવી શકાશે
લોકોએ કેમ્પ સિવાય નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે કોવિડ વેક્સિનેશન સેન્ટર પરથી પણ રસી તાત્કાલિક મેળવવી જોઈએ. તો 70 વર્ષિય મુક્તાબેન ઝાલાએ જણાવ્યું હતું કે, મે વેક્સિન લીધી છે અને મને તેનાથી કોઈ તકલીફ નથી. આપણે કોરોનાથી સુરક્ષિત રહેવું હોય તો વેક્સિન લેવી જરૂરી છે અને એટલે જ દરેકે ખાસ વેક્સિન લેવી જોઈએ. આ વેક્સિનેશન કેમ્પ દ્વારા વિસ્તારના અનેક લોકોએ રસીકરણનો લાભ પ્રાપ્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ ધંધુકા APMC ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યો
વિવિધ મહાનુભવો ઉપસ્થિતિ રહ્યા
ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા, પૂર્વ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, વાણંદ જ્ઞાતિ યુવક મંડળના અગ્રણીઓ વેલજીભાઇ નકુમ, ખોડીદાસભાઇ શીશાગીયા, ભરતભાઈ ઝાલા, રાજેશભાઈ લખતરિયા, યોગેશભાઈ તથા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અતુલભાઈ મહેતા, ઉપપ્રમુખ જનાર્દનભાઇ રાવલ, મહેશભાઈ રાવલ તથા અગ્રણી કમલભાઈ પંડ્યા, વિશાલભાઈ મહેતા તથા વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.