જામનગર: જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ પ્રતિદિન વધી રહ્યાં છે, ત્યારે કોરોનાના કેસ ભવિષ્યમાં વધે તો તેના આગોતરા પગલાંરૂપે તેમજ એસિપ્ટોમેટીક અને માઇલ્ડ સિસ્ટમ્સ ધરાવતા દર્દીઓને સારવાર આપી શકાય તે માટે જામનગરમાં નવા 2 કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવશે. જેમાં એક આયુર્વેદ યુનિવર્સિટી અને બીજું સેન્ટર જિલ્લાની ESIS હોસ્પિટલને કોવિડ કેર સેન્ટરમાં તબદીલ કરવામાં આવશે.
![Two new Covid Care Centers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7684831_jamnagarr.jpg)
આ અંગે કલેક્ટર રવિશંકરે ESIS હોસ્પિટલની મુલાકાત લઇ જરૂરી સૂચનો કર્યા હતા. આ કોવિડ કેર સેન્ટરમાં એસિપ્ટોમેટીક અને માઇલ્ડ સિસ્ટમ્સ ધરાવતા દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવશે, જયાં તેમને આવશ્યક દરેક સુવિધા અને મેડીકલ ટ્રીટમેંટ આપી શકાય તે માટે દરેક સવલતોની નિર્માણ હેતુની સૂચના કલેક્ટરે આપી હતી.
આ મુલાકાતમાં કમિશનર સતિશ પટેલ, મેડિકલ કોલેજ જામનગરના ડીન નંદિની દેસાઇ, સુપ્રિટેંડંટ ડો. તિવારી, કોરોના વાઇરસ નોડલ ડો. ચેટર્જી તેમજ મહાનગરપાલિકાના ડો. પંડ્યા, ડો. ઋજુતા સહિત ESISના ડોક્ટર્સ અને અન્ય સ્ટાફ ઉપસ્થીત રહ્યાં હતા.