- જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર
- જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ
- નવા દર્દીઓને સારવાર ક્યાં આપવી, તે અંગે અસમંજસ
જામનગર: શહેર-જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના તેજ ગતિએ વકરી રહ્યો છે. તો બીજી તરફ હોસ્પિટલમાં ખાટલા ખૂટી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તાજેતરમાં જ કોવિડ હોસ્પિટલમાં વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે તમામ બેડ પણ હાલ ભરાઈ ગયા છે. ત્યારે હવે નવા આવનાર દર્દીઓને દાખલ કરીને સારવાર ક્યાં આપવી? તે પ્રશ્ન હોસ્પિટલ સત્તાવાળાઓ માટે ઉપસ્થિત થયો છે. જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં નોન આઈસીયુ અને ઓક્સિજનની સુવિધા વાળા વૉર્ડમાં તેમજ વેન્ટિલેટર સુવિધા ધરાવતા વોર્ડમાં એકપણ બેડ ખાલી ન હોવાથી પરિસ્થિતિ કઈ હદ સુધી વણસી હશે, તેનો અંદાજ લગાવી શકાય છે.
આ પણ વાંચો: રાજકોટમાં કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે 24 કલાક સ્મશાન કાર્યરત, ચીમની પીગળી રહી હોવાની શંકા
નવા આવનારા દર્દીઓને સારવાર ક્યાં અપાશે?
જામનગરની કોવિડ હોસ્પિટલમાં શહેર-જિલ્લાના ગામડાઓ સહિત આસપાસના જિલ્લાઓમાંથી પણ સતત દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. ત્યારે જામનગરની કુલ 1200 બેડની હોસ્પિટલમાં તાજેતરમાં જ 373 બેડની વધારાની સુવિધા ઊભી કરવામાં આવી હતી. પરંતુ બે-ચાર દિવસમાં જ આ તમામ બેડ પણ દર્દીઓથી ભરાઈ ગયા છે. ત્યારે હવે નવા દર્દીઓ સારવાર માટે આવે તો તેમને ક્યાં સમાવવા? એવો ગંભીર પ્રશ્ન જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્યતંત્ર સમક્ષ ઊભો થયો છે.
આ પણ વાંચો: ગોરડ સ્મશાનમાં ETV Bharatનું રિયાલિટી ચેક, બપોર સુધીમાં 10 મૃતદેહની અંતિમ વિધિ કરાઈ
ગુરુ ગોવિંદ સિંઘ કોવિડ હોસ્પિટલના તમામ 1573 બેડ ભરાઈ ચૂક્યાં
જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર થયેલા સત્તાવાર વિગતોમાં જામનગરની ગુરુ ગોવિંદ સિંઘ કોવિડ હોસ્પિટલમાં નોન આઈસીયુ ઓક્સિજન સાથેના કુલ 1573 બેડની વ્યવસ્થા છે. તેમાં 1573 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. એટલે કે એકપણ બેડ ખાલી નથી. ત્યારે સવાલ એવો ઉભો થયો છે કે નવા દર્દીઓ આવે તો ક્યાં દાખલ કરવા ? જામનગરની સરકારી હોસ્પિટલમાં કુલ 1573 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે તેમાંથી ગઈકાલની સાંજની સ્થિતિએ 967 દર્દીઓ કોરોના પોઝિટિવ રિપોર્ટ ધરાવે છે. જ્યારે, 186 દર્દીઓ શંકાસ્પદ છે અને 420 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ છે. પરંતુ તેની સ્થિતિ સારી નથી.