ગાંધીનગર : નોવેલ કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશ લોકડાઉન છે, તમામ રોજગાર ધંધા બંધ છે ત્યારે રાજ્યના ખેડૂતો પર મુસીબતનું આભ ફાટી પડ્યું છે, ખેડૂતોએ જે ટૂંકા ગાળાનો ધીરાણ લીધું હોય તે 31 માર્ચ સુધીમાં ભરી દેવાનું હોય છે પરંતુ જે રીતે લૉક ડાઉન જાહેર થયું તેને ધ્યાનમાં લઈને રાજ્યના કૃષિપ્રધાનને કિસાન સંઘ દ્વારા ખેડૂતો વતી રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ધીરાણ પરત કરવાની સમય મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
આ બાબતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ છે કે કિસાનોના હિતને વરેલી રાજય સરકાર કપરા સમયમાં કાયમ માટે ખેડૂતોના પડખે ઉભી રહી છે. પ્રવર્તમાન કોરોના વાઇરસની ગંભીર પરિસ્થિતિમાં ખેડૂતોના તૈયાર પાકનું વેચાણ હાલ બંધ છે. તેથી ખેડૂતો રોકડ રકમના અભાવના કારણે બેંકમાંથી લીધેલ ધીરાણ પરત ભરી શકતા નથી અને બેંકો દ્વારા ખેડૂતોને નોટિસ મળે છે. તેને મદદરૂપ થવા માટે ખેડૂતોએ રાષ્ટ્રીયકૃત અને જિલ્લા સહકારી બેંકો દ્વારા જે ટૂંકી મુદતનું ધીરાણ લીધુ હતું તે ભરપાઇ કરવાની તારીખ 31.03.2020 હતી તે લંબાવીને હવે 31.05.2020 કરાઇ છે.
રાજયના ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારે પાક ધીરાણની રકમ પરત ભરવાની મુદત 31 મે કરી: નીતિન પટેલ રાજ્યના ખેડૂતોને સહાયરૂપ થવાના સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી. જેને મંજૂરી મળતાં આજે રાજ્ય સરકારે આ મુદ્દત બે માસ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોના વાઇરસની મહામારીને પરિણામે ઉદ્યોગ-ધંધા-વેપાર અને માર્કેટ યાર્ડો બંધ છે ત્યારે ખેડૂતો પોતાનો પાક વેચી શકતા નથી ત્યારે રાષ્ટ્રીયકૃત અને જિલ્લા સહકારી બેંકો પાસેથી જે ટૂંકી મુદતનું ધીરાણ લીધુ હતું તે 31 માર્ચ સુધી ભરપાઇ કરે તો જ ફરીથી એ જ મંડળીઓ પુન:ધીરાણ આપતી હોય છે. ખેડૂતોને રાબેતા મુજબ ધીરાણ મળી રહે તે આશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યના ખેડૂતોને 7 ટકાના દરે પાક ધીરાણ ઉપલબ્ધ થાય તે માટે ભારત સરકાર 3 ટકા અને રાજ્ય સરકાર 4 ટકા વ્યાજ રાહતની રકમ સહકારી ધીરાણ માળખામાં આપે છે. કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશમાં હાલની લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતો સમયસર પાક ધીરાણની રકમ ભરપાઇ ન કરી શકે તે સ્વાભાવિક છે. એટલું જ નહીં, આ વધારાના સમય માટે પણ ખેડૂતોને અપાતી 7 ટકા વ્યાજ રાહત યથાવત ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ઉપરાંત લોકડાઉન સમયમાં જે પણ આરોગ્યના કર્મચારીઓ અને અધિકારીઓ નિવૃત્ત થઇ રહ્યાં છે તેઓને પણ બે મહિનાનું એક્સટેન્શન કરાર આધારીત આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જ્યારે પોલીસ વિભાગ બાબતે પણ રાજ્ય સરકાર વિચારણામાં હોવાની વાત પણ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી હતી. તેમણે ઉમેર્યું કે, ભારત સરકારની જેમ જ ગુજરાત સરકાર પણ ખેડૂતોને આ વધારાના સમય માટે 4 ટકા વ્યાજ રાહત આપશે. રાજ્યના 24,21,149 જેટલા ખેડૂતોને વ્યાજ રાહતનો લાભ મળશે અને રાજ્ય સરકાર આ વ્યાજ રાહતની વધારાની સમયમર્યાદાના રૂપિયા 160 કરોડનો વધુ બોજ વહન કરીને પણ ખેડૂતોની પડખે ઊભી રહેશે.