ગાંધીનગરઃ એનએસયુઆઇએ માગ કરી હતી કે, કોરોનાનો કેર ચાલી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે. પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી સંક્રમિત થશે તો જવાબદારી કોની રહેશે. ગાંધીનગર શહેરમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન દ્વારા કોરોના કેર વચ્ચે પણ પરીક્ષાઓ યોજી રહી છે. સરકાર દ્વારા હજુ સુધી પરીક્ષાઓ લેવી કે નહીં તે જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશનના સત્તાધીશો દ્વારા છેલ્લાં એક અઠવાડિયાથી પ્રિલિમ પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે.
રાજ્યના 33 જિલ્લા અને 4 અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ આજે પણ પરીક્ષા આપી રહ્યાં છે. જેને લઇને એનએસયુઆઇ કુલપતિને રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું પરંતુ કેમ્પસની અંદર પ્રવેશ નહીં આપતાં બહાર દરવાજા પાસે ધરણાં યોજી નાખ્યાં હતાં. એનએસયુઆઈના નેતા નિખીલ સવાણીએ કહ્યું કે આઈઆઈટીના સત્તાધીશો ભાજપના ઇશારે કામ કરી રહ્યાં છે. અમે વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા નહીં યોજવા માટે રજૂઆત કરવા માટે આવ્યાં હતાં પરંતુ અમને પ્રવેશ પણ આપવામાં આવતો નથી. જ્યારે ભાજપના નેતાઓ લોકડાઉન દરમિયાન પણ અંદર મહેફિલ જમાવીને બેસતાં જોવા મળ્યાં છે. ભાજપના નેતાઓના ઇશારે એનએસયુઆઇ આતંકવાદી સંગઠન હોય તેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી.