ગાંધીનગર: કોરોના વાઈરસથી ગુજરાત રાજ્ય અત્યારે ઝઝૂમી રહ્યું છે, ત્યારે રાજ્યમાં ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ માટે પૂરતા પ્રમાણમાં પીપીઇ કીટ અને માસ્ક નથી તેવા અનેક આક્ષેપો છેલ્લા કેટલાય દિવસથી કરવામાં આવી રહ્યાં છે. જેના જવાબમાં આજે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, ગુજરાત પાસે પી.પી.ઇ. કીટ, માસ્ક વગેરેનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર ગૃહપ્રધાન અમિત શાહના સહયોગથી ગુજરાતને આજે 3000 પી.પી.ઇ.કીટ અને 2000 લિટર સેનેટાઇઝરનો જથ્થો ઉપલબ્ધ થયો છે. શાહના સૂચનથી પૂણે સ્થિત ઓમકાર હેલ્થકેર એન્ટરપ્રાઇઝ દ્વારા 3000 પી.પી.ઇ. કીટ તથા 2000 લિટર સેનેટાઇઝરનો જથ્થો આજે ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લી.ને અપાયો હતો.
અમદાવાદના જી.આઇ.ડી.સી.- 2માં ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લી.ના નરોડા સ્થિત વેરહાઉસમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ જથ્થાને સ્વીકાર્યો હતો. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની સારવાર કરતા તબીબો, નર્સિંગ સ્ટાફ તથા પેરામેડિકલ સ્ટાફને ચેપથી બચાવવા રાજ્ય સરકારે પી.પી.ઇ. કીટ તેમજ સેનિટાઇઝર, માસ્ક તથા ગ્લોવ્ઝ વગેરે પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ રાખ્યા છે. પી.પી.ઇ.કીટનો રોજે રોજ મોટી સંખ્યામાં વપરાશ થઇ રહ્યો છે, ત્યારે રાજ્યના ઔદ્યોગિક એકમો પણ સહયોગના ભાગરૂપે પી.પી.ઇ. કીટ વગેરે ઉપલબ્ધ કરે છે તે અનુકરણીય બાબત છે.
ભારત સરકારે લેબોરેટરીઓમાં ટેસ્ટ સેમ્પલથી માંડીને તમામ મંજૂરીઓ ગુજરાતને આપી છે. આરોગ્ય વિભાગ પાસે 2લાખ પી.પી.ઇ. કીટનો જથ્થો ઉપલબ્ધ છે તે જ રીતે એન-95 અને અન્ય રક્ષાત્મક સાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, ત્યારે કોરોનાની સારવાર કરતાં તબીબો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ નિર્ભયપણે આવા દર્દીઓની સારવાર કરી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં 11ડેપો ધરાવતા આ કોર્પોરેશનમાં દવા અને સર્જિકલ સાધનો ખરીદવામાં આવે છે. સમગ્ર રાજ્ય સરકારની હોસ્પિટલોમાં જરૂરિયાત મુજબ સપ્લાય કરવામાં આવે છે.