- ધારાસભ્ય છોટુ વસાવાએ આદિવાસી સમાજના મુખ્યપ્રધાનની કરી માંગ
- કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ મુખ્યપ્રધાન પદની નિમણૂક અંગે આપ્યો જવાબ
- પાટીદાર અને OBC સમાજ દ્વારા પોતાના સમાજના મુખ્યપ્રધાનની કરાઈ હતી માંગ
ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022( Gujarat Assembly Election 2022 )ની હવે લગભગ 15 મહિનાનો જ સમય બાકી છે, ત્યારે રાજ્યમાં અનેક સમાજો દ્વારા પોતાના સમાજના મુખ્યપ્રધાન હોય તેવી માંગ કરવામાં આવી રહી છે. પાટીદાર સમાજ, OBC સમાજ બાદ હવે આદિવાસી સમાજ પણ ગુજરાતમાં આદિવાસી સમાજનો મુખ્યપ્રધાન હોય તેવી માંગણી ટીબીના ધારાસભ્ય છોટુ વસાવા ( MLA Chhotu Vasava ) દ્વારા કરવામાં આવી હતી. જેના જવાબમાં ગુજરાતના આદિવાસી કેબિનેટ પ્રધાન ગણપત વસાવા ( Cabinet Minister Ganpat Vasava )એ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાનની નિમણૂક કે પસંદગી પક્ષ દ્વારા કરવામાં આવે છે.
આ પણ વાંચો: જ્ઞાતિવાદનું રાજકારણ : ક્ષત્રિય ઠાકોર સમાજે પણ મુખ્યપ્રધાન પદની કરી માંગ
ધારાસભ્ય છોટુ વસાવાએ આદિવાસી સમાજના CM બનાવની કરી માંગ
મંગળવારના રોજ ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે BTP ના ધારાસભ્ય છોટુ વસાવા અને આદીવાસી સમાજના આગેવાનો દ્વારા એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આદિવાસી વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તેવી માંગ છોટુ વસાવા દ્વારા કરવામાં આવી હતી. તેના જવાબમાં રાજ્યના કેબિનેટ પ્રધાન અને આદિવાસી સમાજમાંથી આવતા એવા ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન તરીકેની પસંદગી પક્ષ દ્વારા અને પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જ કરવામાં આવે છે.
મુખ્યપ્રધાનની પસંદગી કરવાની પદ્ધતિ
પ્રધાન ગણપત વસાવાએ મુખ્ય પ્રધાન તરીકેની પસંદગી માટેની પ્રક્રિયા બાબતે જણાવ્યું હતું કે, સૌ પ્રથમ ચૂંટણીમાં રાજકીય પક્ષ જે તે વ્યક્તિને ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપે છે અને ત્યારબાદ જાહેર જનતા જે તે વ્યક્તિને ચૂંટણી જીતાડે છે. આ બાદ, ચૂંટણીના પરિણામ બાદ રાજકીય પક્ષ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડમાં મુખ્યપ્રધાનના દાવેદારોની ચર્ચા થાય છે. આ અંતિમ નિર્ણય પણ રાજકીય પક્ષ દ્વારા જ લેવામાં આવે છે. આમ મુખ્યપ્રધાનની નિમણૂક રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવતા હોવાનું નિવેદન આપીને ગણપત વસાવાએ તમામ સમાજને વિગતવાર જવાબ આપી દીધો હતો.
આ પણ વાંચો: ખોડલધામમાં પાટીદાર નેતાઓની બેઠક બાદ નરેશ પટેલનો વીડિયો વાઇરલ, રાજકારણ ગરમાયું
પાટીદાર સમાજ દ્વારા પણ મુખ્યપ્રધાન પદની માંગ કરાઈ હતી
ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજ દ્વારા 6 જુલાઈના રોજ આદિવાસી સમાજના મુખ્યપ્રધાન બને તેવી માંગ કરવામાં આવી હતી, ત્યારે અગાઉ ગુજરાતમાં પાટીદાર સમાજ દ્વારા પણ ગુજરાતમાં આગામી મુખ્યપ્રધાન પાટીદાર સમાજનો હોય તેવી પણ માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ ધીમે ધીમે પાટીદાર સમાજ બાદ OBC સમાજ અને SC, ST સમાજ દ્વારા પણ આવી માંગ કરવામાં આવી છે, ત્યારે રાજ્યના કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ આપેલા જવાબમાં તમામ સમાજને જવાબ આપી દીધો છે.