ગાંધીનગર : નોવેલ કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા આવતીકાલે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાત્રે ૯.૦૦ કલાકે દીપ પ્રગટાવવાના આહ્વાનને સફળ બનાવવા નાગરિકોને અપીલ કરી હતી સાથે જ લોકડાઉનનો ચૂસ્ત અમલ કરી નાગરિકો ઘરના આંગણે કે ફ્લેટની બાલ્કનીમાં રહી સોશિયલ ડિસ્ટન્સ સાથે દીપ પ્રગટાવે તેવું સૂચન પણ નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલે કર્યું છે.
પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ આહ્વાનને સફળ બનાવવા રાજ્યના સૌ નાગરિકોએ પોતાના ઘરની લાઈટો બંધ રાખીને પોતાના ઘરના આંગણામાં કે ફ્લેટની બાલ્કનીમાં રહી યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જાળવીને દીપ પ્રગટાવે એ જરૂરી છે. લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરીને સરઘસ કે રેલી સ્વરૂપે બહાર ન નીકળવા પણ નાગરિકોને રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઇ છે. જ્યારે આવતીકાલે રાત્રિના નવ કલાકથી નવ મિનિટ માટે લાઈટો બંધ કરવા જણાવાયું છે, તે સંદર્ભે દેશમાં એક સાથે લાઈટો બંધ થાય તો ગ્રીડમાં ભંગાણ પડે તેવી સ્થિતિ ન સર્જાય તે માટે પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવનાર છે. આ સમયે રાજ્યના બધાં જ મહાનગરો, નગરોમાં સ્ટ્રીટલાઈટો ચાલુ રહેશે. એ જ રીતે ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવા પૂરી પાડવામાં આપવામાં આવતો વીજ પુરવઠો, હોસ્પિટલો, જીવન જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓમાં પણ વીજ પુરવઠો યથાવત રહેશે. એટલે નાગરિકોએ ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી.