- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સોલા સિવિલ ખાતે લીધી વેક્સિન
- વેક્સિન લઈને સીધા વિધાનસભા ગૃહમાં આવ્યા નીતિન પટેલ
- અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આપી શુભેચ્છાઓ
- મુખ્યપ્રધાન રૂપાણીએ ગૃહના સભ્યોને વેકસીન લેવા આપી સલાહ
ગાંધીનગર: દેશ અને ગુજરાતમાં કોરોના નો હાહાકાર મચી ગયો છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતીન પટેલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનનો પ્રથમ ડોઝ લેવા પહોંચ્યા હતા અને ડોઝ લઈને તેઓ સીધા વિધાનસભાગૃહમાં પહોંચ્યા હતા. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેરાત કરી હતી કે, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તેમની પત્ની સાથે વેક્સિન લેવા ગયા હતા અને તમામ લોકોએ લેવી જોઇએ ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ ગુજરાતના તમામ સભ્યોને પોતાના પરિવાર સાથે વેક્સિન લેવાની સલાહ વિધાનસભા ગૃહમાં જ આપી હતી.
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ લેશે વેક્સિન
વિધાનસભા ગૃહમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ એવી પણ જાહેરાત કરી હતી કે, ટૂંક સમયમાં તે પણ પરિવાર સાથે વેક્સિન લેવા જશે, પરંતુ ક્યારે જશે અને કઈ જગ્યાએ? તે અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી. રાજ્યના આરોગ્ય પ્રધાન નીતીન પટેલના વિધાનસભાગૃહમાં પહોંચ્યા બાદ અભિનંદન આપીને પોતે પણ વેક્સિન લેવાની જાહેરાત કરી હતી.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ સભ્યોને વેક્સિન લેવાની આપી સલાહ
વિધાનસભા ગૃહમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ સભ્યોને અપીલ કરી હતી કે, ગૃહમાં જે પણ ધારાસભ્યો 60 વર્ષ કે તેથી વધુની ઉંમર ધરાવે છે. તેમણે પરિવાર સાથે કોરોનાની રસી લઈ લેવી જોઈએ. આ સાથે જ તેમણે અપીલ કરતા જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ સામે સુરક્ષિત થવા માટે આપણે સૌ જનપ્રતિનિધિઓને રસી લેવી અત્યંત અનિવાર્ય છે. આ માટે કોઈપણ સહાયની જરૂર હોય તો રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલને સીધો સંપર્ક કરવા જણાવ્યું હતુ.
મુખ્યપ્રધાન રૂપાણી માર્ચ મહિનામાં લેશે વેકસીન
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી હમણાં જ કોરોના સંક્રમિત થયા હતા અને તેઓ પણ માર્ચ મહિનાના અંત સુધીમાં અમદાવાદ અથવા તો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન લેશે. મહત્વની વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ એપોલો હોસ્પિટલમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો હતો. જ્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા હતા અને તેઓ પણ આગામી સમયમાં એટલે કે 15 દિવસ બાદ કોરોનાની રસી લેશે. પરંતુ તેઓ ક્યા દિવસે લેશે તે અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.