'ઇદ-ઉલ અઝહા' ના પર્વ નિમિતે વાપીના ઇમરાનનગર વિસ્તારમાં આવેલ મુખ્ય મસ્જિદમાં અસંખ્ય મુસ્લિમ બિરાદરોએ ખાસ નમાઝ પઢી હતી. આ પર્વ બલિદાનના પર્વ તરીકે પણ ઓળખાય છે. પર્વની પરંપરા અંદાજીત 4 હજાર વર્ષ જૂની છે. કહેવાય છે કે, એક દિવસ અલ્લાહને પોતાના નેક બંદા અબ્રાહમની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો. અલ્લાહે અબ્રાહમના સપનામાં આવી હૂકમ ફરમાવ્યો કે, તે તેની એક લૌતી ઔલાદ એવા તેર વર્ષના ઈસ્માઈલની કૂરબાની આપી દે. અલ્લાહના નકશેકદમ પર ચાલતાં અબ્રાહમે પુત્ર ઈસ્માઈલને પણ આ વાત જણાવી ત્યારે ઈસ્માઈલ પણ પિતા અબ્રાહમ જેવો ખુદાપરસ્ત હતો. તેણે ખુશી ખુશી પોતાની જાનની કુરબાની આપવા તત્પરતા દર્શાવી હતી.
અલ્લાહના હુકમ મુજબ અબ્રાહમે પ્રિય પુત્રની ગરદન પર છરો ફેરવ્યો પણ ત્યાં જ તેજસ્વી પ્રકાશ થયો અને જોયું તો, ઈસ્માઈલ તેના અબ્બાની પાસે જીવતો ઉભો હતો અને જમીન પર બકરાનું માથું પડ્યું હતું. અબ્રાહમની બંદગીથી ખુશ અલ્લાહે તેને ઈશાકના નામે બીજા પુત્રની પણ ભેટ આપી હતી. કૂરાનના બીજા સુરાની 196મી લીટીમાં ઈદ ઉલ અઝહાનો ઉલ્લેખ છે. જીલહજ માસના દસમા દિવસે આવતો આ પર્વને દિવસે મુસ્લિમ બિરાદરો મસ્જિદમાં જઈ ખિતાબ, ખુત્બો સાંભળી ખાસ નમાઝ અદા છે.
આ પર્વ પર હજ યાત્રીઓ હજ પઢીને પાછાં ફરતી વખતે મક્કાની પૂર્વમાં આવેલાં અરાફત પર્વત પાસે આવેલા શેતાનને પથ્થર મારે છે. શૈતાનને પથ્થર માર્યાં બાદ હજ યાત્રીઓની યાત્રા પૂરી થયેલી માનવામાં આવે છે. મુસ્લિમ બિરાદરો બકરા કે, અન્ય પ્રાણીઓની કૂર્બાની આપી આ પર્વની ઉજવણી કરે છે. આ પર્વ ત્રણ દિવસનું છે અને ત્રીજા દિવસની સૂર્યાસ્ત પહેલાં કૂરબાની આપી શકાય છે.
આ પ્રસંગે વલસાડ, દાદરા નગર હવેલી દમણમાં વસતાં મુસ્લિમ બિરાદરોએ ખુદા પાસે કોમી એકતા અને અમન બરકરાર રહે તેવી ગુઝારીશ કરી હતી. આ પર્વ ખુદાપરસ્તીનું પર્વ હોવાથી ખુદા અને વતન માટે જરુર પડે પોતાની જાનની કુર્બાની આપવાનું પર્વ એટલે 'ઇદ ઉલ અઝહા'. જો કે, આ વખતે કાશ્મીરમાં 370ની કલમને નાબૂદ કરવામાં આવી હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે દરેક મસ્જિદ પાસે ખાસ પોલીસ બંદોબંસ્ત ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ તમામ મુસલમાન ભાઈઓએ એકબીજાને ઈદની મુબારક બાદી આપી પોલીસ જવાનોને પણ પૂરતો સહકાર આપતા પોલીસ પણ નિશ્ચિત બની હતી.