- જિલ્લાના વાપી ડિવિઝન પોલીસ મથકની ક્રાઈમ ડાયરી
- વર્ષ 2020માં 101 કેસનો ઘટાડો નોંધાયો
- કપરાડા પોલીસ મથક સહિતના 8 પોલીસ મથકની કામગીરી સરાહનીય
વલસાડઃ વાપી અને ઉમરગામ ઔદ્યોગિક વિસ્તાર છે. જેને કારણે પરપ્રાંતીય વસ્તી પણ ખૂબ વધી છે. સાથે જ મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશની સરહદ નજીક આવેલો વિસ્તાર હોવાથી દરેક વર્ષે પોલીસ માટે ચેલેન્જ ભર્યું વર્ષ રહે છે. ધાડ, લૂંટ, ખૂનના ગુના, ઘરફોડ ચોરીના ગુનામાં વાપી ડિવિઝન પોલીસે વર્ષ 2020માં પણ સારી સફળતા મેળવી છે.
2019ની સરખામણીએ વર્ષ 2020માં ક્રાઇમનો ઘટાડો
વર્ષ 2020માં વાપી ડિવિઝન હેઠળ આવતા વાપી ટાઉન, વાપી GIDC, ડુંગરા, ભિલાડ, મરીન, ઉમરગામ, નાનાપોંઢા અને કપરાડા પોલીસ મથક સહિતના 8 પોલીસ મથકની કામગીરી સરાહનીય રહી છે. આ અંગે વાપી ડિવિઝનના DYSP વિરભદ્રસિંહ જાડેજાએ વિગતો આપી હતી કે, 2020નું વર્ષ કોરોના કાળનું વર્ષ હતું. પોલીસ સ્ટાફ ચુસ્ત બંદોબસ્તમાં રોકાયેલો હતો. તેમ છતાં ધાડના 3 ગુનાને ઉકલ્યા બાદ ખૂન, લૂંટ, ઘરફોડ ચોરી સહિતના ગુનાઓ પર રોક લગાવી શક્યા છે. વર્ષ 2019ની સરખામણીએ 101 ગુનામો ઘટાડો વર્ષ 2020માં કરી શક્યા છીએ.
વર્ષ 2020માં દુષ્કર્મના 20, મનુષ્ય હરણ-નયનના 20 ગુના નોંધાયા
વર્ષ 2020માં નોંધાયેલા કુલ ગુનાની વાત કરીએ તો ખૂનના 12, ખૂનની કોશિષના 7, ધાડના 3, ઘરફોડ ચોરીના 47, ઠગાઈના 12, સાદી ચોરીના 95, વિશ્વાસ ઘાતના 3, દૂષ્કર્મના 20, ઇજાના ગુના 49, મનુષ્ય હરણના 20 અને બીજા પરચુરણ 257 ગુના નોંધાયા હતાં.
ભાગ 6ના 6810 ગુના નોંધાયા
જ્યારેએ ઉપરાંત ભાગ 6 ના IPC 279ના 1310, આર્મ્સ એકટના 10, જુગારધારા સટ્ટા બેટિંગના 78, મોટર વ્હિકલ એકટના 629 ગુના નોંધાયા હતાં. વર્ષ 2020માં ભાગ 1 થી 5 ના કુલ 548 ગુના નોંધાયા હતાં. જ્યારે વર્ષ 2019માં 649 ગુના નોંધાયા હતાં. એ જ રીતે વર્ષ 2020માં ભાગ 6 ના 6810 જ્યારે વર્ષ 2019માં 1936 ગુના નોંધાયા હતાં.
3 કરોડ જેટલી ચોરાયેલી માલમિલ્કત ઝપ્ત કરી
વર્ષ 2020માં ધાડ, લૂંટ, ઘરફોડ ચોરી, સાદી ચોરીના કુલ 193 ગુનામાંથી 133 ગુના ડિટેકટ કરવામાં આવ્યા હતાં. જે અંતર્ગત 9,42,21,574 રૂપિયાની ચોરાયેલી મિલકતમાંથી 2,98,71,552 રૂપિયાની મિલકત જપ્ત કરવામાં આવી હતી. અટકાયતી પગલાં અંગેની માહિતી જોઈએ તો વર્ષ 2020માં જી.પી. એક્ટ, CRPC એક્ટ, પ્રોહીબિશન એક્ટ અને પાસા હેઠળ મળી કુલ 6247 કેસ હતાં. જેમાં પાસા હેઠળના 23 કેસ નોંધાયેલા, વર્ષ 2019માં પાસા હેઠળના 61 કેસ હતાં.
અકસ્માતમાં 145 લોકોના મોત થયા
અકસ્માતના ગુના અંગે વિગતો જોઈએ તો વર્ષ 2020માં 8 પોલીસ મથક હસ્તકના વિસ્તારમાં થયેલા કુલ અકસ્માતમાં 145 લોકોના મોત થયા હતાં. જેમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા ભિલાડ પોલીસ મથક અને વલસાડ નાસિક માર્ગ પર આવેલા કપરાડા પોલીસ મથકમાં સૌથી વધુ અકસ્માત મોતના કેસ નોંધાયા હતાં. જ્યારે વાપી ટાઉન અને મરીન પોલીસ મથકમાં સૌથી ઓછા અકસ્માત મોતના કેસ નોંધાયા હતાં. ઉલ્લેખનીય છે વર્ષ 2019માં વાપી ડિવિઝન હેઠળના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં 164 અકસ્માત મોતના કેસ નોંધાયા હતાં.