- હાશ હવે નિકાસની છૂટ મળી : ખેડૂતોમાં આનંદ
- ખેડૂતોને નવા વર્ષમાં ડુંગળીની નિકાસને છૂટ આપીને સરકારે નવા વર્ષની ભેટ
- ભાવનગર જિલ્લામાં પણ સૌથી વધુ ડુંગળીનું વાવેતર અને ઉત્પાદન મહુવા અને તળાજા પંથકમાં
ભાવનગર : ડુંગળી પકવતા ખેડૂતોને ડુંગળીની નિકાસને છૂટ આપીને સરકારે નવા વર્ષની ભેટ આપી છે. ત્યારે સરકાર દ્વારા આપાયેલી છૂટના પગલે ભાવનગરના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે,પરંતુ ચોમાસામાં પાકેલી ડુંગળી અને હવે આગામી મહિનાઓમાં આવનાર ડુંગળી વચ્ચે ભાવો કેવા રહેશે અને ખેડૂતને શું ફાયદો થશે તે પ્રશ્ન છે. નિકાસની છૂટ મળતા ભાવનગર જિલ્લામાં હાલ મહુવા તાલુકાને ફાયદો મળવાનો જરૂર છે, પરંતુ ગૃહિણીઓને કસ્તુરી રડાવતી રહેશે તેમ લાગી રહ્યું છે.
નિકાસની છૂટ મળતા ખેડૂતોમાં આનંદ
કેન્દ્ર સરકારે નવા વર્ષમાં ડુંગળી પકવતા ખેડૂતોને મોટો ફાયદો ભેટ સ્વરૂપે આપ્યો છે. ડુંગળીની નિકાસને 1 તારીખથી છૂટ આપવામાં આવી છે. ભાવનગર જિલ્લો દેશમાં બીજા નંબરનો જિલ્લો છે. જ્યાં ડુંગળી પકવવામાં આવે છે.ભાવનગર જિલ્લામાં પણ સૌથી વધુ ડુંગળીનું વાવેતર અને ઉત્પાદન મહુવા અને તળાજા પંથકમાં થાય છે. હાલમાં પણ ડુંગળીનું વાવેતર મોટાપ્રમાણમાં થયું છે. એવામાં નિકાસની છૂટ મળતા ખેડૂતોને આગામી દિવસોમ ફાયદો મળવાનો છે. ખેડૂતોને હાલમાં વધુમાં વધુ 500 સુધી ભાવો મળી રહ્યા છે. જેમાં વધારો થવાની શક્યતાઓ વધી જશે. મહુવા યાર્ડના ચેરમેન ઘનશ્યામ પટેલ અને ભાવનગરના યાર્ડના અગ્રણી વેપારીએ સરકારનો આભાર માન્યો હતો.
હાલમાં શું ભાવ અને શું થશે અસર ભાવમાં
ભાવનગર જિલ્લામાં ડુંગળીની આવક જો કોઈ યાર્ડમાં હોઈ તો તે મહુવા યાર્ડ છે. જ્યાં બારેમાસ આવક ડુંગળીની થતી આવે છે. ત્યારે હાલમાં પણ 28 તારીખના રોજ ડુંગળીના આવક જોઈએ તો સફેદ ડુંગળી 9500 ગુણી અને લાલ 5500 ગુણી આમ 15000 ગુણીની આવક નોંધાયેલી છે. હવે ભાવમાં નજર કરીએ તો સફેદ ડુંગળીના મણના ભાવ 162 થી લઈને 576 સુધી રહ્યા છે. ત્યારે લાલ ડુંગળીના 150 થી 409 સુધી રહ્યા છે. ડુંગળીનો પાવડર કરવા માટે સફેદ ડુંગળીની નિકાસ સાઉદી અરબ જેવા દેશોમાં થતી હોઈ છે. જયારે સીધી ડુંગળીને આરોગવા વાળા દેશોમાં જોઈએ. તો બાંગ્લાદેશ જેવા દેશોનો સમાવેશ થાય છે અને ત્યાં વધુ નિકાસ થાય છે.
ગૃહિણીઓને શું નિકાસથી ફાયદો કે નુકશાન
ભાવનગર ડુંગળીનું પીઠું હોવા છતાં ડુંગળીના ભાવ આસમાને છે. ગૃહિણીઓને પોતાના ઘરમાં એટલે ડુંગળી પકવતો ભાવનગર જિલ્લો હોવા છતાં કિલોના 30 થી લઈને 50 રૂપિયા ચુકવવા પડી રહ્યા છે. તેવામાં નિકાસ થવાથી સ્થાનિક કક્ષાએ પણ ડુંગળીના ભાવ ઊંચકાઈ જશે તે નિશ્ચિત છે કારણ કે ,ચોમાસામાં પાક ઓછો હોવાથી ઉત્પાદન થયું નથી અને નિકાસ પણ બંધ હતી. છતાં ભાવો આસમાને રહ્યા છે તેવામાં હજુ નવી ડુંગળી આવી નથી. ત્યાં નિકાસ આપવામાં આવતા ભાવ વધવાની શક્યતાઓ વધી જાય છે.
નિકાસ કેવા સમયે અપાઈ અને નવી ડુંગળી ક્યારે આવશે
ચોમાસામાં એક વીઘે થતી ડુંગળીમાં 60 થી 70 ટકા ઉત્પાદન ઓછું છે એટલે જ્યાં 300 મણ ડુંગળી થતી હોઈ ત્યાં 50 થી 100 મણ ડુંગળીનું ઉત્પાદન ચોમાસાનું થયું છે. ચોમાસા બાદ જે નવી ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. તે ડુંગળીનો પાક ચાલુ વર્ષે ફેબ્રુઆરી નહી પરંતુ માર્ચ કે એપ્રિલમાં આવશે, કારણ કે મોડે સુધી થયેલા કમોસમી વરસાદના પગલે વાવેતર મોડું થયું છે અને પાક પણ મોડો આવવાની શક્યતા છે. સરકારે જો ખરેખર ખેડૂતોના હિતમાં નિકાસ આપી હોઈ તો નિકાસ એપ્રિલ સુધી ચાલુ રાખવી પડશે નહિતર ગૃહિણીઓને ડુંગળી રડાવશે નહી પરંતુ બાદમાં ખેડૂતને ડુંગળી રડાવશે