- ભાવનગરમાં સજ્જતા સર્વેક્ષણ કસોટીનો ફિયાસ્કો કરતા શિક્ષકો
- શહેરમાં 657માંથી માત્ર 3 શિક્ષકોએ આપી પરીક્ષા: સૂત્ર
- શાસનાધિકારીએ હાજરી મુદ્દે ગોળગોળ જવાબ આપ્યા તો સંઘે સરકારને જવાબ આપ્યો
ભાવનગર: સરકારે શિક્ષકોની ખામીને શોધવા અને તેને વધુ મજબૂત કરવાના ઇરાદે સજ્જતા સર્વેક્ષણ કસોટી જેવું આયોજન કર્યું પણ ભાવનગર શહેર અને જિલ્લામાં શિક્ષક સંઘે અળગા રહેવાનું નક્કી કરતા સજ્જતા સર્વેક્ષણ માટેના તૈયાર ખંડોમાં માત્ર સુપરવાઈઝર બે કલાક સમય વિતાવ્યો હતો. જ્યારે શિક્ષકો શાળામાં જ રહીને કસોટીથી અળગા રહ્યા હતા.
ભાવનગર શહેર જિલ્લામાં સજ્જતા સર્વેક્ષણ કસોટીનું આયોજન
ભાવનગર જિલ્લામાં અને શહેરમાં સજ્જતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં 10 કેન્દ્રો શિક્ષણ સમિતિએ સરકારના આદેશ મુજબ તૈયાર કર્યા હતા. 10 કેન્દ્ર પર સ્ટાફ,સુપરવાઈઝર સાથે કસોટી પત્ર તૈયાર હતો. નવાઈની વાત એવી છે કે, પરીક્ષામાં ખંડમાં શિક્ષકમાંથી વિદ્યાર્થી બનાવેલા સરકારના શિક્ષકો 99 ટકા ગેરહાજર રહ્યા હતા. જોકે, શાસનધિકારીએ આ મામલે કેટલા શિક્ષકોએ કસોટી આપી તે આંકડો છુપાવ્યો હતો. કસોટીમાં માત્ર 3 શિક્ષકો જોડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. શિક્ષકોએ પોતાની માગને પગલે સરકારની કસોટીનો બહિષ્કાર કરીને તમાચો માર્યો છે.
કસોટીનો બહિષ્કાર કરીને શિક્ષકોએ શું કર્યું અને સંઘે શું જવાબ આપ્યો?
ભાવનગર શહેરમાં 55 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ આવેલી છે. જેમાં 657 જેટલા શિક્ષકો ફરજ બજાવે છે. ETV BHARATએ રિયાલિટી ચેક કરતા કસોટીના ખંડ ખાલીખમ જોવા મળ્યા હતા. જ્યારે શિક્ષકો કસોટી આપવા નથી ગયા તો શું કરી રહ્યા છે? તે જાણવાની કોશિશ કરતા શિક્ષકોએ પોતાની શાળામાં 12થી 5 વાગ્યા દરમિયાન હાજર રહીને ઓનલાઇન શિક્ષણ આપ્યું હતું. મહાનગરપાલિકા શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષભાઇએ જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના 657 પૈકી દરેક કસોટીથી અળગા રહ્યા છે. જાણવા મળ્યા મુજબ, ત્રણ શિક્ષકોએ કસોટી આપી છે, પણ અમારી માગ પે-ગ્રેડની છે. જેને સરકાર સંતોષશે નહિ ત્યાં સુધી અમે સરકારને સહયોગ આપવાના નથી.
શિક્ષકોની સર્વેક્ષણ કસોટી શા માટે હતી અને વિરોધના સૂરનું કારણ શું?
શિક્ષકોની કસોટી લેવાનું કારણ એક માત્ર સરકારનું એટલું હતું કે, શિક્ષકોની તાલીમ લેવામાં આવે તો શિક્ષક ક્યા ક્ષેત્રમાં મજબૂત અથવા નબળા છે, તે જાણીને તેમને તાલીમ આપીને શિક્ષણને મજબૂત કરવાનું હતું, પરંતુ રાષ્ટ્રીય શિક્ષક સંઘ દ્વારા આપેલા આંદોલનને વેગ ગુજરાતમાં આપવામાં આવ્યો છે. ભાવનગર રાષ્ટ્રીય શિક્ષક સંઘના સૌરાષ્ટ્રના પ્રમુખ મહેશભાઈ મોરીએ જણાવ્યું હતું કે, સરકાર તેમની વિવિધ માગ માની રહી નથી. જેથી આજે કસોટીથી અળગા રહેવાનું નક્કી કર્યું છે.