- 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ
- આરોગ્ય વિભાગના કર્મચારીઓ અંગદાનની પ્રતિજ્ઞા લેશે
- વધુ સારા અને તંદુરસ્ત સમાજના નિર્માણનો થીમ
અમદાવાદઃ આ વર્ષે ‘વિશ્વ આરોગ્ય દિવસ’ની ઉજવણી 'Building a fairer, Healthier World' ('વધુ સારા અને તંદુરસ્ત સમાજનું નિર્માણ) થીમ પર કરવામાં આવશે, જે અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય ખાતાના અધિકારી અને કર્મચારીઓ ખૂબ જ આવકારદાયક અને પ્રેરણાત્મક પહેલરૂપે અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવા માટે અંગદાન માટેની પ્રતિજ્ઞા લેશે. તેઓ બ્રેઈન ડેડ અથવા હૃદયરોગના હૂમલામાં તેમના મૃત્યુ બાદ તેમના શરીરના અવયવોને જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરી દેવાનો સંકલ્પ લેશે. આરોગ્ય ખાતું આ અભિયાનમાં 10 લાખ લોકોને સાંકળવા માંગે છે અને સંકલ્પ લેનારા દરેક પાસેથી ફોર્મ ભરાવી તેના પ્રચાર-પ્રસાર માટે કાર્ય કરી રહ્યું છે.
અંગદાન ન મળતાં દર્દીનું મોત થતું હોય છે
ઉલ્લેખનીય છે કે, ઘણીવાર સમયસર અંગદાન ન મળવાને કારણે દર્દીનું મૃત્યુ થતું હોય છે. છેલ્લા થોડાં વર્ષોમાં આપણે ત્યાં અંગદાનને મહત્વ મળતું થયું છે અને તેના સારા પરિણામો પણ આપણે રોજબરોજ જોઈએ છીએ, પરંતુ હજુ તેમાં ઘણો સુધારો થઈ શકે છે અને અનેક જિંદગીઓ બચી શકે છે. ‘મૃત્યુ પછી પણ તમારું શરીર ઘણા લોકો માટે સ્વસ્થ જીવન જીવવાનું કારણ બની શકે છે.’ આ માટે આરોગ્ય વિભાગ અંગદાનના મહત્વ પર ભાર મૂકી રહ્યું છે અને લોકોમાં તે અંગે હકારાત્મકતા ફેલાય તેના માટે કાર્યરત છે.
વિજ્ઞાનક્ષેત્રે થયેલા સંશોધનથી જીવલેણ રોગ પર કાબૂ લેવાયો છે
માનવ જીવન અમૂલ્ય છે અને તેનું જતન કરવું આપણો ધર્મ છે. પોતાના શરીરને સ્વસ્થ, સુડોળ અને સ્ફૂર્તિલું રાખવું દરેક વ્યક્તિની પોતાની ફરજ છે. સ્વાસ્થ્ય બહારથી મળતું નથી અને તો વ્યક્તિએ પોતે જ પામવું પડે છે. ઋષિકાળમાં સુયોગ્ય આહાર, નૈસર્ગિક વાતાવરણ, યોગાસન અને વ્યાયામ વગેરેના કારણે માનવીની માનસિક અને શારીરિક તંદુરસ્તી જળવાઇ રહેતી હતી, પરંતુ વર્તમાન સમયમાં બદલાયેલી જીવનશૈલી, ઔદ્યોગિક વિકાસ, રસાયણો અને જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ તથા બેઠાડું જીવન અને નશીલાં દ્રવ્યોના સેવન વગેરે કારણોસર અનેક પ્રકારના રોગોએ ભરડો લીધો છે. વૈશ્વિકસ્તરે તબીબી વિજ્ઞાનક્ષેત્રે થયેલી અવનવી શોધખોળો, સંશોધનોના પરિણામે જીવલેણ રોગોને નિયંત્રણમાં લાવી શકાયા છે. માનવીના સરેરાશ આયુષ્ય મર્યાદા વધારવામાં નોંધપાત્ર સફળતા મળી છે.
આ પણ વાંચોઃ મગજના મૃત દર્દી દ્વારા કરાયેલા અંગદાનથી બે જીવને મળ્યું નવું જીવન
ગુજરાત સરકારે રૂપિયા 11,323 કરોડની જોગવાઈ કરી છે
નાગરિકોના આરોગ્યને જાળવવા માટે ગુજરાતનું તબીબી ક્ષેત્ર અત્યાધુનિક સાધનો અને સવલતોથી સુસજ્જ છે. ગુજરાતના પ્રજાજનો પણ પોતાના આરોગ્યની જાળવણી પ્રત્યે જાગૃત છે. રાજ્ય સરકાર અને રાજ્યનું આરોગ્ય તંત્ર પણ રાજ્યના છેક છેવાડાના માનવીના સ્વાસ્થ્યને ચિંતા કરી જરૂરી સુવિધાઓ પ્રદાન કરવા સંનિષ્ઠ પ્રયાસો કરે છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાનો વ્યાપ વધે અને ગ્રામિણજનોને નજીકના સ્થળે જ તમામ આરોગ્ય વિષયક સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા ઉમદા અને સંવેદનશીલ અભિગમ સાથે રાજ્યમાં 9231 પેટા આરોગ્ય કેન્દ્રો, 1477 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 321 શહેરી આરોગ્ય કેન્દ્રો અને 348 સામુદાયિક આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021-22ના નાણાંકીય વર્ષમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂપિયા 11,323 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
કોરોનાને કાબુમાં લેવા ત્રણ ‘T’ ની સ્ટ્રેટેજી
સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે, ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સજાગતા સાથે ત્રણ ‘T’ ની સ્ટ્રેટેજી અપનાવી આગળ વધી રહી છે. કોરોના સંક્રમણને અટકાવવા ‘ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ’ એમ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી સરકારે રણનીતિ ઘડી છે.
આ પણ વાંચોઃ વાપીમાં કચ્છી વડીલે કર્યું અંગદાન, 5 લોકોને મળશે જીવનદાન
'વધુ સારા અને તંદુરસ્ત સમાજનું નિર્માણ' એ થીમ છે
માનવીના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવે છે અને પ્રતિવર્ષ તારીખ 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ‘વિશ્વ આરોગ્ય દિન’ની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય વિષયક સમસ્યાનો વિષય પસંદ કરી તેનો વિશ્વભરમાં સંદેશો પાઠવવામાં આવે છે. આ વર્ષે 'વધુ સારા અને તંદુરસ્ત સમાજનું નિર્માણ' એ વિષય પસંદ કરવામાં આવ્યો છે ત્યારે આવો, આપણે સૌ આ મહાન કાર્યમાં સહભાગી બનીએ.