અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ કચરાને રિસાયક્લિંગ કરીને આ સાઈટને કચરો મુક્ત કરવાનું કાર્યવહી શરૂ થઈ ચૂકી છે. પરંતુ આ નર્કાગાર વિસ્તારના આસપાસ ઘણી ઝુપડપટ્ટી આવેલી છે. શુક્રવારે સાંજના સમયે વધુ એક આઘાતજનક ઘટના બની હતી. જેમાં એક તરુણી કોઈ નજીવી કિંમતી વસ્તુ મળી રહેશે, તેવી આશા સાથે પોતાના ભાઈ અને અને અન્ય સાથી મિત્રો સાથે ડમ્પિંગ સાઇટના કચરાના ડુંગર ઉપર કચરો વિણવા ગઇ હતી. ત્યારે અચાનક જ કચરાનો ઢગલો પડતા તે તેમાં દટાઈ ગઈ હતી.

તેની સાથે આવેલા તેના સાથીદારોએ સાઈટ ઉપરથી નીચે આવીને અન્ય લોકોને જાણકારી આપી હતી. પોલીસ સુધી માહિતી પહોંચતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સાંજે 7 વાગ્યાથી શરૂ કરવામાં આવેલ રેસ્ક્યુ ઓપરેશન મોડી રાત્રે સુધી ચાલ્યું હતું.
છેલ્લા અહેવાલ પ્રમાણે રાત્રિના એક વાગ્યા સુધીમાં પણ તરુણી મળી નથી. ત્યારે ફાયર વિભાગ વિશિષ્ટ પ્રકારની લાઈટથી અને જેસીબી મશીન દ્વારા તેની શોધખોળ હાથ ધરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, બાળકોની સાથે ઘણા લોકો આ સાઈટ ઉપર કિંમતી ચીજવસ્તુઓ હાથ લાગવાની આશા સાથે ઘણી વખત શોધખોળ કરતા હોય છે. ત્યારે આ જોખમી પ્રવૃતિને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શા માટે કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા નથી ? તે ચર્ચાનો વિષય બન્યો છે.