- પશ્ચિમ રેલવેના અમદાવાદ ઝોનના સાંસદો સાથે જનરલ મેનેજરે કરી ચર્ચા
- કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વર્ચ્યુઅલ મિટિંગ યોજાઈ
- સાંસદોએ પોતાના મતક્ષેત્રમાં સ્ટોપેજની માંગ કરી
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા અમદાવાદ ડિવિજનના અધિકાર ક્ષેત્રમાં આવતા સાંસદો સાથે વર્ચુઅલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિવિજન રેલવે મેનેજર દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ કાર્યક્રમની શરૂઆતમાં ડેપ્યુટી જનરલ મેનેજર (સામાન્ય) પરીક્ષિત મોહનપુરીયાએ ઉદ્ઘાટન સંબોધન કર્યું હતું. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલે વીડિયો લિંક દ્વારા ઉપસ્થિત તમામ સાંસદોને શ્રીફળ અને સ્મૃતિ ચિહ્ન રજૂ કરતી વખતે તેમણે તેમના તમામ વરિષ્ઠ અધિકારીઓનો પરિચય કરાવ્યો અને સ્વાગત પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સાંસદો દ્વારા ડો.કિરીટ સોલંકીને બેઠક માટે અધ્યક્ષ તરીકે નિમાયા હતા. આ દરમિયાન, અમદાવાદ ડિવિજન દ્વારા આપવામાં આવતી પ્રવાસીઓની સુવિધાઓ અને હાલમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ વિશે પાવર પ્રેઝન્ટેશન દ્વારા તમામ સાંસદને અવગત કરવામાં આવ્યા હતા.
પશ્ચિમ રેલવેએ લોકડાઉનમાં 1234 શ્રમિક ટ્રેનો ચલાવી
સ્વાગત ઉદબોદ્ધન દરમિયાન આલોક કંસલે સાંસદોને અવગત કરાવ્યાં હતા કે, પશ્ચિમ રેલવે પર યાત્રી હિત માટે પરિયોજનાઓ અને યાત્રી સુવિધાના વિકાસના કાર્યમાં સાંસદોનું મહત્વપૂર્ણ ફીડબેક અને મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, પશ્ચિમ રેલવે તેના યાત્રીઓને હર સંભવ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અગ્રિમ રહ્યું છે તથા સંરક્ષા, સેવા અને ગતિના યોગમંત્રને અમલ કરતાં રેલ તંત્રને હમેશા સુદ્રઢ બનાવ્યું છે. કોરોના મહામારી દરમિયાન, પશ્ચિમ રેલવેએ વિપરીત પરિસ્થિતિઓમાં કામ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને સમગ્ર ભારતીય રેલવેમાં 25 ટકા આવક ફક્ત પશ્ચિમ રેલવે દ્વારા મળે છે. લોકડાઉનના સમયમાં 1234 શ્રમિક ટ્રેનો ચલાવીને કોરોના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને 26 લાખથી વધુ ફૂડ પેકેટનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
રેલવે પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરાઈ
આ બેઠક દરમિયાન સાંસદોએ તેમના સંબંધિત વિસ્તારોમાં પ્રવાસીઓની સુવિધા વધારવા, નવી ટ્રેનો ચલાવવા, તેમના વિસ્તારના સ્ટેશનો પર ટ્રેનોનાં સ્ટોપેજ પૂરા પાડવાની અને હાલમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. જેથી સ્થાનિક લોકોને જલ્દીથી તેમનો સંપૂર્ણ લાભ મળી શકે.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે સાંસદોને તેમની માંગ સંતોષવાની ખાતરી આપી
જનરલ મેનેજર કંસલે તમામ સાંસદોને ખાતરી આપી હતી કે, તેમની બધી યોગ્ય માંગણીઓનો સંપૂર્ણ અમલ કરવામાં આવશે અને આ માટે રેલવે મંત્રાલય કક્ષાએ પણ જણાવવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે, હાલમાં અમદાવાદ ડિવિજન પર ચાલી રહેલા તમામ પ્રોજેક્ટ્સને ઝડપથી કરવામાં આવી રહ્યા છે અને તેના લક્ષ્યાંક મુજબ તે નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થશે. વીડિયો લિંક દ્વારા આયોજીત આ વર્ચ્યુઅલ મીટીંગમાં અમદાવાદ ડિવિજનના અધિકાર ક્ષેત્રના સાંસદોમાં ડો.કિરીટ સોલંકી, હસમુખ પટેલ, વિનોદ ચાવડા, શારદા પટેલ, ભરતસિંહ ડાભી, મહેન્દ્ર મુંજપરા, શક્તિસિંહ ગોહિલ, નરહરિ અમીન, ડો.અમી યાજ્ઞિક, જુગલસિંહ લોખંડવાલા અને રમિલા બારા ઉપસ્થિત રહ્યા હતા.
જનરલ મેનેજરે તમામ સાંસદોનો આભાર વ્યક્ત કર્યો
આ કાર્યક્રમના સમાપન સમયે જનરલ મેનેજર આલોક કંસલે આ વર્ચુઅલ મીટીંગ દરમિયાન તમામ સાંસદોને મૂલ્યવાન સમય આપવા માટે અને લોકહિતને લગતા સૂચનો પર ચર્ચા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની માંગણીઓ અંગે તત્કાળ પગલા ભરવાનું વચન આપ્યું હતું. આ કાર્યક્રમના અંતે ડેપ્યુટી જનરલ મેનેજર (સામાન્ય) પરીક્ષિત મોહનપુરીયાએ તમામનો આભાર માન્યો હતો.