અમદાવાદઃ અમદાવાદ રોજગાર કચેરી દ્વારા જૂન મહિનામાં 5 ઓનલાઇન રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના વાઇરસને લઈને વોટ્સએપ કૉલ અથવા જુમ એપ્લિકેશન ઇન્ટરવ્યૂ લઈને 883 યુવાનોને રોજગારી આપવામાં આવી હતી.
ખાસ કરીને ધોરણ-10 અને 12 પાસ, ITI કરેલ યુવાનોને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં રોજગાર કચેરી રસ લઈ રહી છે. છેલ્લે 375માંથી 150 યુવાનોને રોજગાર કચેરીએ નોકરી અપાવી હતી. વિજયવર્ગીયે આશા વ્યક્ત કરી છે કે, જેમ જેમ દેશ કોરોનાની મહામારીમાંથી બહાર આવશે તેમ તેમ પરિસ્થિતિઓ સુધરશે અને રોજગારીના અવસરો વધશે. ગુજરાત સરકારે આપેલા આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં 7,32,000 જેટલા યુવાનોને ગુજરાતમાં રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવી છે.
![gujarat government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-21-unemployment-hyc-video-story-7209112_28072020183412_2807f_1595941452_755.jpg)
હાલ અમુક મેન્યુફેક્ચર સેક્ટર જેમ કે, ઇલેક્ટ્રોનિકસ અને ઓટોમોબાઇલમાં રોજગારીની તકો ઓછી છે. જ્યારે લોકો પાસે પૈસા નથી, ત્યારે તેઓ આ વસ્તુ ખરીદવાનું ટાળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સંબંધોની અસર પણ તેના પર પડી રહી છે. પરંતુ કોરોના વાઇરસને કારણે ફાર્મા કંપનીમાં નોકરિયાત યુવાનોની માંગ વધુ છે. વિજયવર્ગીયે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેરોજગારીનો દર 3.4 ટકાની આસપાસ છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્ર ગણાય છે. મોટા ભાગની રોજગારી ખેતી અને ઇન્ડસ્ટ્રીઝ સેક્ટર પર આધારિત છે પણ પાછલા વર્ષોમાં સર્વિસ સેક્ટરનો ફાળો પણ વધ્યો છે.
સરકાર દ્વારા નવી યોજનાઓ જેવી કે, સાણંદમાં મલ્ટીનેશનલ કંપની લાવવાની વાત હોય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મલ્ટીનેશનલ કંપનીઓને ભારતમાં લાવવાની વાત હોય, ખાદી ક્ષેત્રે ગામડાઓના યુવાનોને રોજગારી પૂરી પાડવાની વાત હોય કે એન્ટ્રપ્રિન્યરશિપ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હોય, આવા અનેક પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. પરંતુ ગ્રાઉન્ડ લેવેલે તેની અસર ઓછી જોવા મળે છે.
![gujarat government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-21-unemployment-hyc-video-story-7209112_28072020182223_2807f_02382_1000.jpg)
બીજી તરફ સરકારના દાવાઓ સામે કોંગ્રેસે સરકારની પોલ ખોલતા જણાવ્યું છે કે, કોરોના વાઇરસ પહેલા જ્યારે છેલ્લું વિધાનસભા સત્ર મળ્યું તેમાં ગુજરાત સરકારે સ્વીકાર્યું છે કે, ગુજરાતમાં નોંધાયેલા શિક્ષિત બેરોજગારોની સંખ્યા 4.58 લાખ છે. જ્યારે નહીં નોંધાયેલ 30 લાખ જેટલા યુવાનો બેરોજગાર છે. લોકડાઉનમાં સરકારના અયોગ્ય નિર્ણયને કારણે ગુજરાતના ઉદ્યોગો ભાંગી પડ્યા છે. સરકારે એક વર્ષમાં ફક્ત 2200 વિદ્યાર્થીઓને સરકારી નોકરી આપી છે. ગુજરાતના 14 જિલ્લામાંથી એક પણ યુવાનોને રોજગારી મળી નથી. કોરોના પહેલા અને કોરોના કાળ દરમિયાન પણ યુવાનોએ સતત રોજગારી માટે દેખાવ કર્યા છે. સરકારે તેમને દમનથી દાબી દીધા છે.
![gujarat government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-21-unemployment-hyc-video-story-7209112_28072020182229_2807f_02382_785.jpg)
સરકારે 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં દર વર્ષે 2 કરોડ રોજગારી સર્જનનહ વચન આપ્યું હતું. પરંતુ તેઓ પોતાના લાગતા વળગતા કાર્યકરોને રોજગારી પૂરી પાડી રહ્યા છે, તો લોકોના ટેક્સના પૈસાથી ધારાસભ્યો ખરીદી રહ્યા છે. સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે રોજગારીના આંકડાઓમાં ગુંચવણ કરી રહી છે. કોઈ વ્યક્તિ પોતાની રીતે નાની એવી લોન લઈને રીક્ષા લાવે કે પછી ભજીયાની દુકાન ચાલુ કરે તેને પણ સરકાર પોતે ઉભી કરેલ રોજગારીમાં ખપાવી રહી છે. લાંબા સમયથી સરકારી ભરતીઓ બંધ છે, તેમના પર કોઈ નિર્ણય લેવામાં આવતો નથી.
સરકારે કોરોના વાઇરસને લઈને જે 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. તેમાંથી 16 લાખ કરોડનું તો બજેટમાં પ્રોવિઝન હતું જ, બાકીના 4 લાખ કરોડ ક્યાં ગયા તેની પણ કોઈને કંઈ ખબર નથી. ગુજરાત સરકારે જે 14 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું અને લોકોને ધંધા-રોજગાર શરૂ કરવા 1 લાખની વગર ગેરેન્ટીએ લૉન આપવાની વાત કરી તે બધું જ ફિયાસ્કો સાબિત થયું છે.
![gujarat government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-21-unemployment-hyc-video-story-7209112_28072020182229_2807f_02382_1075.jpg)
વિકાસ પામી રહેલા રાષ્ટ્રોની ખાસિયત હોય છે કે, તેમાં સામાજિક અને આર્થિક પડકારો બધે જ જોવા મળે છે. ભારતમાં પણ વસ્તી વિસ્ફોટની સાથે બેરોજગારી પણ જોવા મળી રહી છે. ખાસ કરીને શિક્ષિત યુવાનોને રોજગારી મળતી નથી. પરંતુ તેની પાછળનું કારણ ફક્ત વસ્તી જ નથી, ભારતમાં ચાલતો ભ્રષ્ટાચાર પણ છે. સરકારી ભરતી હોય, સરકારી ખાતા હોય, શિક્ષણ હોય કે પછી ગ્રાન્ટ ફાળવવાની વાત હોય બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર સર્વત્ર છે. જે વર્ષોથી ચાલતો આવ્યો છે. સરકારો આવે અને જાય પરંતુ લોકો ઠેરના ઠેર જ રહી જાય છે.
![gujarat government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-21-unemployment-hyc-video-story-7209112_28072020182229_2807f_02382_55.jpg)
બળતામાં ઘી હોમવાનું કાર્ય કોરોના વાઇરસે કર્યું છે. પહેલેથી જ જ્યારે ગુજરાતમાં યુવાનો સરકારી ભરતીને અને બેરોજગારીને લઈને આંદોલન કરી રહ્યા હતા. તેવામાં કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાતા લોકડાઉન અપાયું અને સમગ્ર કામ ધંધા બંધ થઈ ગયા હતા. પરિણામે જ્યારે બે મહિના બાદ લોકડાઉન ખૂલ્યું ત્યારે કેટલીક નાની ઇન્ડસ્ટ્રીઝનો શ્વાસ રૂંધાઈ ગયો અને તેમને તાળા મારવા પડ્યા હતા. એટલે હવે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે, પહેલાથી જ બેરોજગાર હતા અને કોરોના વાઇરસના સંક્રમણ કાળમાં બેરોજગારોની સંખ્યા વધી છે.
આ ઉપરાંત કેટલીક જગ્યાએ છટણી કરી દેવામાં આવી છે અને પગાર કાપ મૂકવામાં આવ્યો છે. માંગ ઘટતા પ્રોડક્શન ઘટ્યું છે. ઓપરેટીંગ ખર્ચ નિકળવાના પણ પૈસા ઉદ્યોગો પાસે નથી. ત્યારે બેરોજગારીથી યુવાનો આડા પાટે ચડે તેવી સંભાવના વધી ગઇ છે.