- કોરાનાકાળનું એક વર્ષ દોહ્યલું રહ્યું
- સિવિલના 517 કોરોના યોદ્ધાઓ સંક્રમિત થયા
- 1,83,378 લોકોના કોરોનાના ટેસ્ટ થયા
અમદાવાદઃ શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થતાં સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી 1,200 બેડની હોસ્પિટલને 7 એપ્રિલના રોજ કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી હતી. ક્રમશઃ કોરોનાના કેસમાં ઘટાડો થતાં આ હોસ્પિટલના 700 બેડને મહિલાઓ અને બાળકોની સારવાર અર્થે પૂર્વવત કરવામાં આવ્યા છે. હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે 500 બેડ કાર્યરત છે. સમગ્ર રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે.
સિવિલ હોસ્પિટલમાં 1,200 કર્મીઓએ રાઉન્ડ ક્લૉક ફરજ બજાવી
કોરોનાના દર્દીઓની સેવામાં 3 પાળીમાં અંદાજે 250થી વધુ ડૉક્ટર્સ, 450 જેટલો નર્સિંગ સ્ટાફ તથા 600 જેટલા સફાઈ કર્મીઓ મળી કુલ 1,200 કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે. આ ઉપરાંત 130 પેશન્ટ એટેન્ડન્ટ, 60 નર્સિંગ સ્ટુડન્ટ્સ, 120 સિક્યુરિટી સ્ટાફ, 18 બાયો મિડેકલ એન્જિનિયર્સ, 20 પી.આર.ઓ., 15 કાઉન્સિલર્સ, 46 એક્સ-રે એન્ડ લેબ ટેકનિશિયન્સ અને 15 ડ્રાઈવર મળી કુલ 1,725 યોદ્ધાઓ 24 બાય 7 ખડેપગે અને અવિરત સેવા બજાવે છે.
કોરોના દર્દીઓની સારવાર માટે 1200 બેડની હોસ્પિટલ ઉભી કરાઈ
આ હોસ્પિટલના સુચારૂ સંચાલન અંગે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.જે.પી.મોદી કહે છે કે, “અત્યાર સુધીના 12 માસના સમયગાળામાં કોરોનાની ઓ.પી.ડીમાં 55,159 અને આઈ.પી.ડી.માં 21,033 દર્દીઓને તપાસવામાં આવ્યા છે. 1,200 બેડની હોસ્પિટલમાં અધ્યતન સારવારની સાથે અન્ય સેવાઓ પણ દર્દીઓને અપાઈ છે. જે દર્દીઓ અતિં ગંભીર પરિસ્થિતીમાં અહીં આવ્યા છે અને જેમને ઓક્સિજનની જરૂર પડી છે તેવા દર્દીઓ માટે 350 જેટલા વેન્ટિલેટર સહિતના બેડ અનામત રખાયા છે. આવા બેડ પર દાખલ થયેલા દર્દીઓ માટે અત્યાર સુધીમાં 26,34,366 ક્યુબિક મિ.મિ ઓક્સિજનનો વપરાશ થયો છે. જેની અંદાજિત કિમત રૂપિયા 11 કરોડ જેટલી થાય છે, એમ ડૉ. મોદી ઉમેરે છે.
મેડિકલ સ્ટાફે રાત દિવસ જોયા વગર સેવા કરી
1,200 બેડની હોસ્પિટલમાં તબીબો અને અન્ય સપોર્ટ સ્ટાફે દિવસ રાત- રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે. અત્યંત કપરી પરિસ્થિતીમાં પણ અહીં અવિરત સેવાનો ધોધ વહ્યો છે. અહીં દર્દીઓની સારવાર ઉપરાંત કોરોનાના ટેસ્ટ પણ કરાયા છે. 1,200 બેડની હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 1,83,378 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાંથી 18,701 લોકો પોઝિટિવ આવ્યા હતા.
આ પણ વાંચોઃકોરોના કેસ વધતા અમદાવાદ મનપાએ લીધેલા અણઘડ નિર્ણયથી નાગરિકો પરેશાન
અતિ કિમતી ઈન્જેક્શનો દર્દીઓને વિનામુલ્યે અપાયા
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર અર્થે અતિ ઉપયોગી એવા ટોસિલીઝુમેબ ઇન્જેકશનના વપરાશની વિગત જોઇએ તો 80 મિલીગ્રામના 8.5 લાખના ખર્ચે 100 ઇન્જેકશન, 200 મિલીગ્રામ 6 લાખના ખર્ચે 30 ઇન્જેકશન, 400 મિલીગ્રામના 1.67 કરોડના ખર્ચે 419 ઇન્જેકશન અતિગંભીર સ્તરે પહોંચેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને આપવામાં આવ્યા છે, જ્યારે 4.57 કરોડના ખર્ચે 16,328 રેમડેસીવીર ઇન્જેકશન કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર અર્થે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.
517 મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ કોરોના સંક્રમિત થયો
સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા સુશ્રુષા કરતા કરતા 517 મેડિકલ- પેરામેડિકલ સ્ટાફ કોરોના સંક્રમિત થયા હતા. જેમાં 70 સિનિયર તબીબો, 202 રેસિડેન્ટ તબીબો, 56 ઇન્ટર્ન તબીબો અને 189 નર્સિંગ સ્ટાફનો સમાવેશ થાય છે.
સિવિલમાં ક્લીન રૂમ કાર્યન્વિત કરાયો
આ યોદ્ધાઓ તેમના ઘરની ચિંતા કરતા નથી તેમના પરિવારની ચિંતા કરતા નથી. એમને મન તો બસ કોરોના દર્દીઓની સેવા જ મુળ મંત્ર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં ખાસ “ક્લીન રૂમ” કાર્યન્વિત કરાયો હતો. જે પરિવારમાં માતા પિતા બન્ને કોરોના પોઝિટિવ હોય અને તેમના નાના બાળકો હોય અને કોઈ રાખનાર કે સંભાળ લેનાર ન હોય તો તેવા બાળકોને અહીંનો નર્સીંગ સ્ટાફ “માતા” બનીને સાચવ્યા હતા. આ બાળકોને સેરેલેક પાવડરથી માંડીને જે કંઈ જરૂરી હોય તે અપાયું હતું. આ બાળકો માટે ખાસ “એટેન્ડન્ટ” પણ રખાયા હતા.
આ પણ વાંચોઃCM રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજકોટમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ
દર્દીના સગાઓને બેસવા માટે વિશાળ ડોમ
જે દર્દીઓ દાખલ થયા હોય ત્યાં દર્દીના કોઈ પણ સગાને ચેપ ન લાગે એટલે સલામતી માટે જ વોર્ડમાં પ્રવેશ અપાતો નથી. કોઈ ખાસ કિસ્સામાં જરૂર હોય કે દર્દીની લાગણી અને માંગણી હોય કે દર્દી વેન્ટીલેટર પર હોય કે પ્રોસીજર જરૂરી હોય તેવા કિસ્સામાં એક સગાને રક્ષાત્મક સાધનો સાથે જવાની મંજૂરી અપાય છે અને અન્ય કિસ્સાઓમાં નજીક એક વિશાળ ડોમ બનાવાયો છે ત્યાં તમામ સગાઓને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પણ હોસ્પિટલનો સ્ટાફ તહેનાત કરાયો હતો. જેમને હોસ્પિટલ તરફથી મોબાઈલ અપાયા છે. જેના દ્વારા દર્દી તેમના સગા સાથે વીડિયો કોલિંગથી વાત કરી શકે છે. આ માટે 50 જેટલા મોબાઈલની વ્યવસ્થા કરાઈ હતી. દર્દીઓની સેવા-સુશ્રુષા સ્વાસ્થ્ય સુવિધાઓમાં વધારો કરવા માટે તંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ હાથ ધરવામાં આવ્યા હતા.
ઈન હાઉસ ડાયાલિસિસ સેન્ટર કરાયું
કોરોનાગ્રસ્ત દર્દીઓને ડાયાલિસિસ અર્થે બહાર ન જવું પડે તે માટે ઇન-હાઉસ ડાયાલિસિસ સેન્ટર, ઈન-હાઉસ લેબ, સમગ્ર ભારતભરમાં શરૂ કરેલી પ્રથમ પ્લાઝમા બેંક, વયસ્ક દર્દીઓ માટે જીરિયાટ્રિક વોર્ડ, વોર રૂમની જેમ 24 કલાક કાર્યરત કંટ્રોલરૂમ, હેલ્પ ડેસ્ક જેવી અનેક સ્વાસ્થ્ય સુવિધાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ રોગનું સંક્રમણ ન વધે તે માટે પ્રશાસન સતત કાર્યરત છે. આરોગ્ય વિભાગ દ્વારા “કોરોના યોદ્ધા બનો-ઘરે રહો, સુરક્ષિત રહો”ના ધ્યેયમંત્ર સાથે આ યોદ્ધાઓ ફરજ બજાવી હતી અને આજે પણ ફરજ બજાવી રહ્યા છે.
કોરોના યોદ્ધાઓને સલામ છે તેમના ધ્યેય, ધૈર્ય અને સંવેદનાને